- તમે ખાદી મહોત્સવની મુલાકાત લીધી કે નહીં ?
- શહેરના સયાજીગંજમાં પારસી અગિયારી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહ્યો છે ખાદી મહોત્સવ
- ખાદીના 46 અને ગ્રામોદ્યોગના 32 સ્ટોલ પરથી સ્વદેશી, સસ્તી અને સારી વસ્તુઓ ખરીદવાની તા. 22 માર્ચ સુધી અમૂલ્ય તક
કરકસર અને બચત એ ગુજરાતીઓની એક વિશેષ ઓળખ છે. સ્વદેશી, ઇકો-ફ્રેન્ડલી, સસ્તી, સારી અને ટકાઉ વસ્તુઓ ખરીદવાની ગુજરાતીઓની આદતને પોષવા માટેની સુવર્ણ તક વડોદરાના શહેરીજનો પાસે આવી ઊભી છે.
શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પારસી અગિયારી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, ‘નવા ભારતની નવી ખાદી’ને નવો આયામ આપવાના ઉદ્દેશ્ય સાથે ખાદી મહોત્સવ ચાલી રહ્યો છે. તા. 22 માર્ચ સુધી ચાલનારા આ ખાદી મહોત્સવમાં મુલાકાતીઓને ખાદીના 46 અને ગ્રામોદ્યોગના 32 સ્ટોલ પરથી હાથથી કાંતેલા અને હાથથી વણાયેલા કપાસ, ઊન, સિલ્ક અને પોલી-કોટન ઉત્પાદનોની વિવિધતા જોવા અને ખરીદવા મળશે. સાથે જ અહીં અથાણાં, જામ, મધ, અગરબત્તી અને આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનો સહિતની દૈનિક જરૂરિયાતો માટે ગ્રામીણ ઉદ્યોગના ઉત્પાદનો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રદર્શનમાં ઉપલબ્ધ તમામ ઉત્પાદનો સ્વદેશી અને ઇકો-ફ્રેન્ડલી છે.
આ પ્રદર્શનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર, નાગપુર અને અન્ય રાજ્યોમાંથી ખાદી સંસ્થાઓ અને ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ રહ્યા છે. બિહારની પ્રખ્યાત મધુબની પેઈન્ટીંગ કે હેન્ડમેડ મહિલા પરિધાન, મહારાષ્ટ્રથી આવેલા વિવિધ પ્રકારના ઓર્ગેનિક મસાલા હોય, કે પછી એવી વસ્તુઓ અને ડિઝાઈન કે જે સામાન્ય રીતે બજારમાં જોવા નથી મળતી તેવી બધી જ પ્રકારની વસ્તુઓ આ મહોત્સવમાં મુલાકાતીઓની રાહ જોઈ રહી છે.
આ ખાદી મહોત્સવથી વડોદરાના શહેરીજનોને ભાતભાતની અદ્ભૂત વસ્તુઓ તો મળી રહી છે, પરંતુ સાથે સાથે ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરો માટે નવા બજારો પૂરા પાડવાનો આ પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ની દ્રષ્ટિને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પણ છે.
વડોદરાના લોકોને વધુમાં વધુ સંખ્યામાં આ ખાદી પ્રદર્શનમાં આવે અને ભારતના વારસાને સ્વીકારે તેવી અપીલ કરવાની સાથે ગ્રામ વિકાસ સંઘ, વડોદરાના સેક્રેટરી ઓમકારનાથ તિવારીએ કહ્યું કે, ખાદી ભારતની રાષ્ટ્રીય ધરોહર છે અને તેને અપનાવીને આપણે રાષ્ટ્રની સેવા કરી શકીએ છીએ. આજે જ્યારે ખાદી કાપડથી આગળ વધીને ભારતની ઓળખ બની ગઈ છે, ત્યારે સૌ વડોદરાવાસીઓએ આ ખાદી મહોત્સવની અચૂક મુલાકાત લેવી જોઈએ.