Abtak Media Google News

સાંસદ પુનમબેન માડમના સફળ પ્રયત્નો

રાજાશાહીના વખત સુંદર દેખાતા સ્ટેશનના  પ્રાચીન લુકને યથાયત રાખી બાજુમાં નવી જગ્યા મેળવીને  અત્યાધુનિક સગવડતાવાળુ બનાવાશે

કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા શહેરોના રેલવે સ્ટેશનોને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પણ કરવામાં આવેલા પ્રયત્નોને સફળતા સાંપળી છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના રેલવે સ્ટેશનના આધુનિકીકરણ માટે રૂપિયા નવ કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ માટે રાજકોટના ડિવિઝનલ એન્જિનિયર, જામનગર તથા ખંભાળિયાના ઇજનેર દ્વારા આ માટે ખંભાળિયા નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને આ મુદ્દે ચર્ચા-વિચારણાઓ તથા સ્થળ તપાસ કરવામાં આવી હતી.

ખંભાળિયાનું આ રેલવે સ્ટેશન રાજાશાહીના વખતનું અને સુંદર દેખાવ ધરાવતું હોય, આ રેલવે સ્ટેશનના પ્રાચીન લુકને યથાવત રાખીને બાજુમાં નવી જગ્યા મેળવીને રૂપિયા નવ કરોડના ખર્ચે ભવ્ય તથા આધુનિક સગવડતાવાળું રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં વિવિધ સગવડતાઓ સાથેના પ્લેટફોર્મ, પાર્કિંગની સુવિધા, આગળના ભાગે નાનો બગીચો તથા હાલ અહીંના રેલવે સ્ટેશન માટે જડેશ્વરથી જામનગર ફાટક સુધી 30 મીટર જેટલું આ સ્ટેશન આગળ વધારવામાં આવશે.

હાલના રેલ્વે સ્ટેશનની પહોળાઈમાં 30 મીટરનો વધારો થતા હાલ મિલન ચાર રસ્તા વાળો જડેશ્વર રોડ ઉપર જે પાણીની ટાંકી છે, તે ભાગમાંથી કચ્છીપાડામાં થઈને ત્યાંથી રેલવે ક્વાટર અને ત્યાંથી પટેલ બેટરી પાસે થઈને આગળના ભાગે બનાવવામાં આવે તેવું હાલ આયોજન થઈ રહ્યું છે.

જો કે ખંભાળિયાના રેલવે સ્ટેશનની નજીકના રેલ્વે ફાટક પર રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન થયું છે. પરંતુ નવા રેલવે સ્ટેશનની ડિઝાઇન મુજબ ફેરફાર થશે. હાલના રેલ્વે ક્વાર્ટર પાસેથી આ બ્રિજ શરૂ થતો હતો તથા મહારાણા પ્રતાપને પ્રતિમાની પહેલા આ ઓવરબ્રિજ પૂર્ણ થશે તેવું આયોજન હતું. તેમાં પણ હવે સંભવિત ફેરફાર થશે.

રૂપિયા નવ કરોડના ખર્ચે ખંભાળિયાના રેલવે સ્ટેશનના વિકાસ સાથે અનેક નવી સગવડો પ્રાપ્ત થશે. તો હાલનો રસ્તો બંધ કરીને ત્યાં સુધી રેલવે સ્ટેશન લંબાવતા રેલવે સ્ટેશન વિસ્તારના જડેશ્વરથી જામનગર સુધીના રસ્તાને કચ્છીપાડામાં થઈને કાઢવાથી અને મકાનો દૂર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયાના રેલ્વે સ્ટેશનની વાર્ષિક આવક કરોડો રૂપિયાની છે. ત્યારે આ નવી સગવડતાથી આવકમાં પણ વધારો થશે. આમ, સાંસદ પૂનમબેન માડમના સફળ પ્રયાસોથી અહીંનું રેલ્વે સ્ટેશન સુવિધાસભર બનવાના આયોજનથી જનતામાં આનંદની લાગણી પ્રસરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.