Abtak Media Google News

ટી- ૨૦ બાદ પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિરાટ કોહલી ક્રિકેટના અન્ય ફોર્મેટમાંથી પણ સુકાનીપદ છોડી શકે છે: રવિ શાસ્ત્રીનું નિવેદન દિશા સૂચક

અબતક, નવી દિલ્લી

ટી-૨૦ વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ ટીમનું સુકાની પદ છોડી દીધું હતું અને હેડ તરીકે રવિ શાસ્ત્રીનો પણ કાર્યકાળ પૂરો થઈ ગયો છે. તેવામાં હવે ભારતના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું છે કે, વિરાટ કોહલી ટી-૨૦ ની જેમ ક્રિકેટના અન્ય ફોર્મેટમાંથી પણ સુકાનીપદ છોડી શકે છે. ખાસ કરીને કોરોના કાળમાં સુકાનીપદમાં રહેલાં ભારે દબાણને કારણે કોહલી સુકાનીપદ છોડી શકે છે તેમ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું.

ટી-૨૦ વર્લ્ડ કપમાંથી ભારત બહાર ફેંકાતા જ કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થયો હતો. જ્યારે કોહલીએ બાયો બબલના થાકને કારણે ન્યૂઝીલેન્ડ સામેની ટી-૨૦ સીરિઝમાંથી અને એક ટેસ્ટમાંથી આરામ લીધો છે. ઈન્ડિયા ટુડે સાથે વાતચીત કરતાં રવિ શાસ્ત્રીને સવાલ કરાયો હતો કે, શું કામના ભારણને કારણે વિરાટ કોહલી અન્ય ફોર્મેટમાંથી પણ સુકાનીપદ છોડી શકે છે.

આ પ્રશ્નના જવાબમાં રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, તેના સુકાનીપદ હેઠળ રેડ બોલ ક્રિકેટમાં ભારત છેલ્લા પાંચ વર્ષથી નંબર વન રહ્યું છે. અને જ્યાં સુધી તે માનસિક રીતે થાકી ન જાય, અથવા પોતે સુકાનીપદ છોડી દેવાની ઈચ્છા દર્શાવે, કે હવે હું મારી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. અને આ ટૂંક સમયમાં સંભવ થઈ શકે છે.

આ સાથે કોહલીએ કહ્યું કે, આ નિર્ણય કોહલી તુરંત નહીં લઈ લે, પણ આ વસ્તુ થશે જરૂર. અને સાથે-સાથે વ્હાઈટ બોલ ક્રિકેટમાં પણ આમ થઈ શકે છે, જ્યાં તે કહી શકે છે કે હવે હું મારી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. આ તેનું મગજ અને શરીર છે કે જે નિર્ણય લેશે. અને આમ કરનાર તે પ્રથમ નહીં હોય. અનેક સફળ ખેલાડીઓએ તેમની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાનીપદ છોડી દીધું છે.

રવિ શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે, અત્યાર સુધી વિરાટ કોહલી ટીમમાં સૌથી ફિટ ખેલાડી છે. એ નક્કી છે કે તે ભૂખ્યો છે, અને ટીમમાં અન્ય કોઈ પણ ખેલાડી કરતાં તે સૌથી વધારે ફિટ છે. જ્યારે તમે એટલા ફિટ હોય છો ત્યારે તમારું આયુષ્ય વધે જ છે. સુકાનીપદનો નિર્ણય તેનો હોઈ શકે છે. પણ મારા મત મુજબ તેણે વ્હાઈટ બોલનું સુકાનીપદ છોડી દેવું જોઈએ. પણ રેડ બોલ ક્રિકેટનું સુકાનીપદ ન છોડવું જોઈએ. કેમ કે, તે ટેસ્ટ ક્રિકેટનો બેસ્ટ બ્રાન્ડ એમ્બેસડર છે.

આ ઉપરાંત રવિ શાસ્ત્રીએ કહ્યું કે, કોહલી સહિત ટીમના અનેક ખેલાડીઓ બાયો બબલ થાકને કારણે લાંબો બ્રેક લઈ શકે છે. આ ઉપરાંત કોરોના કાળમાં સુકાનીપદ વહેંચી દેવા અંગે શાસ્ત્રીએ કહ્યું કે, ખાસ કરીને આ સમયમાં આ નિર્ણય કોઈ વ્યક્તિ પરથી ભાર ઓછો કરી શકે છે. અનેક પ્લેયર્સ બ્રેક લઈ શકે છે. હું જોઈ શકું છું કે અનેક પ્લેયર્સ બ્રેક લેવા માગી રહ્યા છે અને તે યોગ્ય પણ છે. તમારે સમય સમય પર ગેમમાંથી સ્વિચ ઓફ થવાની જરૂર હોય છે.

આ ઉપરાંત શાસ્ત્રીએ કહ્યું કે, આઈપીએલ તરત બાદ વર્લ્ડ કપ રમવો એ ટીમની તરફેણમાં ન હતો. પણ આ માટે બીસીસીઆઈને દોષ દેવો યોગ્ય નથી, કેમ કે આઈપીએલનું રિશિડ્યુલિંગ કોરોનાને કારણે થયું હતું. કોરોનાને કારણે એપ્રિલમાં આઈપીએલ કેન્સલ થવાને કારણે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. પણ હવે હું નથી સમજતો કે ભવિષ્યમાં પણ આવું થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.