Abtak Media Google News

લાલુના કુંવરની ૪૦ કરોડની કોઠી ટાંચમાં લેતો આવકવેરા વિભાગ

દેશમાં નાના કોર્પોરેટરથી લઈ વડાપ્રધાન સુધી અનેક નેતાઓ-રાજકારણીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ ચૂકયા છે. ઘણા કિસ્સામાં આ આક્ષેપો સત્ય હોય છે. યુપીએ સરકાર સમયે થયેલા કૌભાંડોની વાતથી કોઈ અજાણ નથી. ત્યારે સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિ સામે તપાસ હાથ ધરી હતી. જેમાં કાર્તિ પાસે વિદેશમાં ૨૫ સંપતિઓ હોવાનું ખુલતા વડી અદાલતને જાણ કરવામાં આવી છે.

ચિફ જસ્ટીસ દિપક મિશ્રાની ખંડપીઠ સમક્ષ એડિશ્નલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, સીબીઆઈ પ્રોપર્ટી મામલે રિપોર્ટ બંધ કવરમાં સબમીટ કરી રહી છે. સીબીઆઈએ વડી અદાલતને રિપોર્ટમાં ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિ વિદેશમાં ૨૫ સંપતિઓ ધરાવતો હોવાનું કહ્યું છે. જો કે, કાર્તિના વકીલ કપિલ સીબ્બલે સીબીઆઈના આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી તેનો વિરોધ કર્યો છે.

કપિલ સીબ્બલે અદાલત સમક્ષ દલીલ કરી હતી કે, કાર્તિની ઉલટ તપાસ દરમિયાન મિલકતો મામલે એક પણ સવાલ પુછવામાં આવ્યો નહોતો. જો સરકાર, આવકવેરા વિભાગ કે સીબીઆઈને વિદેશમાં કાર્તિની બેનામી મિલકત મળે તો તેઓ તે ટેકઓવર કરી શકે છે. આ મામલે તુષાર મહેતાએ દલીલ કરી કે, આ સંપતિઓ સેલ કંપનીના માધ્યમથી કાર્તિ પાસે છે. તપાસ અત્યારે મહત્વના તબક્કામાં છે. ખંડપીઠે સીબીઆઈને તપાસનો રિપોર્ટ બંધ કવરમાં સબમીટ કરવા કહ્યું હતું અને મામલો ૧૮ સપ્ટેમ્બરે સાંભળવાની તૈયારી બતાવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં આઝાદીકાળથી અનેક નેતાઓ-રાજકારણીઓ બેનામી સંપતિ અને ભ્રષ્ટાચાર સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયા છે. દરેક રાજયમાં કયાંકને ક્યાંક આવા કૌભાંડો થતા હોય છે. દરેક સરકારમાં નાના-મોટા કૌભાંડો થયા જ છે. કૌભાંડોની તપાસ વર્ષોના વર્ષો ચાલે છે. યુપીએ કાળમાં થયેલા કૌભાંડની તપાસમાં પણ કંઈક એવું જ છે. આ કેસોની તપાસો તુરંત કરી સજા ફટકારવાના વચન તો અપાયા હતા પરંતુ વર્ષો વીતી જવા છતાં હજુ કોઈને સજા થઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.