Abtak Media Google News

બેખૌફ નવજોતે કોંગ્રેસને મૂંઝવી!: અંતે સોનિયાએ ૩ લોકોની કમિટી બનાવી પડી!!

આજે કમિટી કરશે બેઠક: તમામ સાંસદો અને ધારાસભ્યોને સાંભળી જૂથવાદનો અંત લાવવા કરાશે પ્રયત્ન

કોંગ્રેસ હાઈકમાન્ડ પંજાબ કોંગ્રેસમાં ઉદ્ભવેલા વિખવાદ અંગે સક્રિય થઈ છે. પાર્ટીએ પંજાબ કોંગ્રેસના વિવાદના સમાધાન માટે ત્રણ વરિષ્ઠ નેતાઓની એક સમિતિ બનાવી છે. બીજી તરફ પક્ષના પંજાબના પ્રભારી હરીશ રાવતે સુનિલ જાખારને રાજ્યના વડા તરીકે જાળવી રાખવાની વાત કરી હતી.

પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ પંજાબ કોંગ્રેસની ઘર્ષણ અંગે જાગૃત થયું છે. પક્ષ હાઈકમાન્ડ, મતભેદ દૂર કરવા પંજાબ કોંગ્રેસમાં સક્રિય થઈ ગયો છે. હાઈકમાન્ડે વિવાદના સમાધાન માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખાર્ગે, પાર્ટીના પંજાબ પ્રભારી હરીશ રાવત અને જયપ્રકાશ અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ હરીશ રાવતે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખાર વિશે મોટું નિવેદન આપ્યું છે. રાવતે કહ્યું કે પાર્ટીનો જાખારને હટાવવાનો કોઈ ઇરાદો નથી.

છેલ્લા બે મહિનાથી પક્ષના રાજ્યસભાના સભ્યો, પ્રધાનો અને મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સાથે ધારાસભ્યો વચ્ચે બદનામીના કેસ સહિતના અન્ય મુદ્દાઓ પર વધતા ઝઘડા માટેના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી વર્ષ ૨૦૨૨માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આની ખરાબ અસર પડી શકે છે. મુખ્ય પ્રધાનથી નારાજ પક્ષનો એક વર્ગ, રાહુલ ગાંધીની સામે પોતાનો મુદ્દો રજૂઆત કરવા ફાંફા મારી રહ્યા છે. આ સંદર્ભમાં મંત્રીઓ સુખજિંદરસિંઘ રંધાવા, ચરણજીતસિંહ ચન્ની, પરગટસિંહ, નવજોતસિંહ સિદ્ધુ વગેરે વચ્ચે બેઠક યોજાઈ હતી. અગાઉ આ નેતાઓની રાહુલ ગાંધી સાથે વર્ચુઅલ મુલાકાત હોવાના અહેવાલો હતા, પરંતુ આ નેતાઓનો આગ્રહ એવો હતો કે તેઓ સામ-સામે બેસીને આ વિશે વાત કરશે.

હાઈકમાન્ડે ગુસ્સે ભરાયેલા ધારાસભ્યોની સમસ્યાઓ વગેરે જાણવા અને તેના નિરાકરણ સૂચવવા માટે હરિશ રાવત, મલ્કીઅર્જુન ખડગે અને પંજાબ બાબતોના પ્રભારી જયપ્રકાશ અગ્રવાલની બનેલી ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિ તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરશે.

આ સમગ્ર મામલામાં કોંગ્રેસના મહાસચિવ અને પાર્ટીના પ્રભારી હરીશ રાવતે કહ્યું છે કે, પંજાબમાં ચાલી રહેલા વિવાદનું જલ્દીથી સમાધાન કરવામાં આવશે. તેમનું કહેવું છે કે, અમારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સુનીલ જાખારને બદલવાનો કોઈ ઇરાદો નથી. તે જ સમયે, તેમણે પંજાબ કોંગ્રેસમાં દખલનું મૂળ કારણ સંદેશાવ્યવહાર અંતર ગણાવ્યું છે.

હકીકતમાં વિખવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ અંગે અટકળો શરૂ થઈ. હાઇ કમાન્ડ નવજોતસિંહ સિદ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવવા ઈચ્છે છે તેવી વાતો વહેતી થઈ હતી પરંતુ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ તેની વિરુદ્ધ હતા. જે બાદ અમરીનંદરસિંધ અને નવજોતસિંઘ સિદ્ધુ આમને સામને આવી ગયા છે. બંને વચ્ચેનો કકળાટ અનેકવાર મીડિયા સામે પણ બહાર આવ્યો છે.

આ સાથે જ રાવતે કહ્યું કે, હાઈકમાન્ડ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીની પહેલી બેઠક આજે દિલ્હીમાં યોજાશે. આ સમસ્યાને કેવી રીતે હલ કરવી તે નક્કી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.