Abtak Media Google News

જામનગરમાં કોરોના વાયરસ મહામારીમાં હાલ લોકડાઉનની વ્યાપક અસર હેઠળ અનેક વડીલો કે જેઓ એકલા રહે છે તેઓને પોતાના સ્વાસ્થ્ય માટે દવાઓની આવશ્યકતા સતત રહેતી હોય પરંતુ લોકડાઉનમાં બહાર જવાનું હિતાવહ પણ ન હોવાથી તેઓ સંકટમાં મુકાયા હતા.વયસ્કો, વૃદ્ધો કે જેઓ બીમાર છે જેઓ બહાર પણ નીકળી નથી શકતા તેવા લોકો આ લોકડાઉનની પરિસ્થિતિમાં કોના સથવારે? પોતાને જોઇતી વસ્તુઓ તેમને કોણ લાવી આપે તેવો વિચાર તો દરેકને આવતો હશે પણ આ વિચારને  વડીલોની સેવાના નિર્ધાર સાથે જામનગરના કલેકટરએ જોડી દીધી છે.

કલેકટર રવિશંકરે માજી સૈનિક મંડળના ૨૧ જેટલા માજી સૈનિકોનું ગ્રુપ બનાવ્યું છે અને જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નં. ૧૦૭૭ પર આવતી રજૂઆતો પૈકીની માહિતી સ્વયંસેવકોને પહોંચાડવામાં આવે છે. ફોન પર મળેલ વડીલની રજૂઆતને ધ્યાને લઇ તેમના નજીકના વિસ્તારના સ્વયંસેવકને ત્યાં મોકલવામાં આવે છે જેઓ આ વડીલો પાસેથી તેમના પ્રિસ્ક્રિપ્શન લઇ મેડિકલ સ્ટોર પરથી દવા લઈ અથવા તો તેમને કોઈપણ આવશ્યક વસ્તુઓની જરૂરિયાત હોય તો તે પણ ખરીદી લઈ અને તેમના નિવાસસ્થાને પહોંચાડે છે.

જામનગર વહીવટીતંત્ર, જિલ્લા સૈનિક વેલ્ફેર ઓફિસ અને હાલાર માજી સૈનિક સંસ્થાન દ્વારા ૩૦માર્ચથી જામનગરના વડીલોને વહેલામાં વહેલી તકે તેમના ઘરે દવા અને ચીજવસ્તુઓ પહોંચાડી શકાય તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હાલ સુધીમાં જામનગર શહેરના વિવિધ વિસ્તારોના ૩૧ વડીલોને સૈનિકો દ્વારા તેમના ઘરે તેમની દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી.

તંત્ર અને સૈનિકો દ્વારા કરાતી વડીલોની સેવાનાપ્રત્યુત્તરરૂપે જામનગરના પટેલ કોલોનીના રહેવાસી વડીલ વિજયભાઈ ખાખરીયાએ કહ્યું કે,  મારી દવાએ મારી જીવનઆવશ્યક વસ્તુ છે ત્યારે માજી સૈનિકના સભ્યઓ દ્વારા મને ખૂબ જ ઝડપથી દવા પહોંચાડવામાં આવી છે તે બદલ હું તેમનો આભાર માનું છું.

માત્ર જામનગર શહેરમાંજ નહીં પરંતુ, તાજેતરમાં જ જામનગરના દિગ્વિજય પ્લોટના રહીશ પ્રમોદભાઈ ત્રિવેદીએ કંટ્રોલરૂમ પર ફોન કરી જણાવેલ કેતેમના પત્નીને ડાયાબિટીસ છે અને તેઓ હાલ વડોદરા ખાતેના ઘરે છે જ્યાં તેમને ડાયાબિટીસની તેમની દવા મળી રહી નથી  તેથી જામનગરના તેમના નિવાસસ્થાને રહેલી તેમની દવાઓ તેમને વડોદરા મોકલવા માટે મદદરૂપ થવા તંત્રને રજૂઆત કરી હતી. સૈનિક કલ્યાણ બોર્ડના કમાન્ડર સંદીપ જયસ્વાલે આ અંગે અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાને જણાવતા અધિક નિવાસી કલેક્ટરએ તત્કાલ જ વડોદરા ખાતેના એ.ડી.એમ. બી.આર.પટેલને આ અંગે વાત કરી દવા ઉપલબ્ધ કરાવવા માટે મદદરૂપ થવા વિનંતી કરતા જ વડોદરાના વહીવટી તંત્રએ પણ ખૂબ જ સહકાર આપી અધિક કલેક્ટરના જણાવ્યા અનુસારની દવા ત્યાંથી ઉપલબ્ધ કરાવી અને વડોદરા એસ.ડી.એમ.એ વિનામૂલ્યે આ દવા માત્ર ૮ કલાકમાં જ વડોદરા ખાતેના તેમના નિવાસસ્થાને પ્રમોદભાઈના પત્નીને પહોંચાડી જે બદલ પ્રમોદભાઇ અને વડોદરાથી તેમના પત્નીએ અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, જામનગરના પ્રાંત અધિકારી અને કમાન્ડર સંદીપ જયસ્વાલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

કોરોનાની મહામારીમાં તંત્ર દ્વારા ઘરે રહેલા અને આ બીમારી સામેની લડતમાં સહયોગ આપતા આ વડીલોને તેમની આવશ્યક વસ્તુઓ ઘરે જ પહોંચાડી જનસેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરા પાડવામાં આવી રહયા છે. પોતાના જીવનને જોખમમાં મુકી આ સૈનિકો અને વહીવટી તંત્રના આ સેવાયોગીઓલોકોને સતત મદદ કરી રહ્યા છે તેમજ લોકોને સહાયરૂપ બની તેમના જીવનને સ્વસ્થ રાખવા માટેના સતત પ્રયત્ન કરી રહ્યા છે. વડીલોની સેવા કરતા આ સૈનિકો અને વહીવટીતંત્રના કર્મયોગીઓ લોકો પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી રાખતા. તેઓ માત્ર એટલું જ કહી રહ્યા છે કે, અમે તમારા માટે સતત કાર્યરત છીએ બસ “તમે ઘરમાં રહો અને સ્વસ્થ રહો.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.