- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તા. 29 એપ્રિલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો 9 મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે
- રાજ્યપાલના હસ્તે 90 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાશે
- મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના 13,965 વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી અપાશે
- કુલપતિ ડૉ. ભરત બી. રામાનુજે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તા. 29 એપ્રિલના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો 9 મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાનાર હોઈ આ અંગે યુનિવર્સિટી કુલપતિ ડૉ. ભરત બી. રામાનુજે પત્રકાર પરિષદ યોજીને મીડિયાને માહિતી આપી હતી.
કુલપતિ ડૉ. ભરત બી. રામાનુજે જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને 9 મો વાર્ષિક પદવીદાન સમારંભ તા. 29 એપ્રિલ ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકે અટલ ઓડિટોરિયમ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર ખાતે યોજાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પદવીદાન સમારંભમાં 44 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને 34 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળીને કુલ 90 વિદ્યાર્થીઓને 88 મેડલ એનાયત કરવામાં આવશે. સમાન માર્ક્સ મેળવનાર ચાર વિધાર્થીઓ વચ્ચે બે મેડલ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ડિગ્રી સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને એક જ સમયે મળી રહે એ હેતુથી ડીજી લોકર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. જેથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના 13,965 વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી આપવામાં આવશે. વધુમાં વર્ષ-2016 થી જૂન-2024 સુધીની કુલ-7,62,788 માર્કશીટનો ડેટા ડીજી લોકર પરથી ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ ડિગ્રી તેમજ માર્કશીટ ‘ડિજિટલ લોકર’ એપ્લિકેશનના માધ્યમથી ડાઉનલોડ કરી શકશે.
આ પદવીદાન સમારંભમાં ડૉ. અતુલ કોઠારી રાષ્ટ્રીય સચિવ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ (નવી દિલ્લી) મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે. આ ઉપરાંત નિમુ બાંભણિયા રાજયકક્ષાના મંત્રી, ભારત સરકાર તથા સાંસદ ભાવનગર – બોટાદ, પ્રફુલ પાનશેરિયા રાજયકક્ષાના મંત્રી, જીતુભાઇ વાઘાણી ધારાસભ્ય ભાવનગર (પશ્ચિમ), સેજલ પંડયા ધારાસભ્ય ભાવનગર (પૂર્વ), ભરત બારડ મેયર ભાવનગર મહાનગરપાલિકા, જયવીરરાજસિંહ ગોહિલ યુવરાજસાહેબ, ભાવનગર સ્ટેટ ઉપસ્થિત રહેશે.
અહેવાલ : આનંદસિંહ રાણા