Abtak Media Google News

વર્ષ ૧૯૩૭માં કીંગ જયોર્જ માટે બનેલો આ બ્રિટીશ તાજ અમુલ્ય તો છે જ પણ સાથે અનેક જોખમ પણ ધરાવે છે!!

નાઝીઓથી બચાવવા બ્રિટીશ તાજ, રૂબી સહિત અતિમહત્વ ધરાવતી ઝવેરાતોને વિડંસર કાસલમાં દાટી દેવાઈ હતી!!

એ જાણીને નવાઈ લાગશે કે બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ મહારાણીનો તાજ નાઝીઓથી બચાવવા બિસ્કીટના ડબ્બામાં સંતાડાયો હતો અને ત્યારબાદ વિંડસર કાસલમાં આ તાજને દાટી દેવામાં આવ્યો હતો. આ રહસ્ય એક બીબીસી ડોકયુમેન્ટરી પરથી જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે ભારતનો અમુલ્ય કોહીનુર હીરો પણ બ્રિટીશ મહારાણીના શીરે ચમકે છે.

મહારાણી એલિઝાબેથના પિતા કિંગ જોર્જે આદેશ આપ્યો હતો કે, આ અમુલ્ય જવેરાતો નાઝીઓના હાથમાં લાગવી જોઈએ નહીં. ગમે તે ભોગે આ તાજનું નાઝીઓથી રક્ષણ કરવાનું છે તેથી આ અમુલ્ય અને અદ્વિતીય તાજ અને બ્લેક પ્રિન્સના રૂબી સહિતના જવેરાતોને દાટી દેવાયા હતા. મહારાણીના તાજને બિસ્કીટના ડબ્બામાં સંતાડાયો ત્યારબાદ દફન કરાયું.

આ એક સરક્ષિત રહસ્ય હતું કે જે વિશે બધા લોકો અજાણ હતા. બીજા વિશ્ર્વ યુદ્ધમાં વર્ષ ૧૯૩૯ થી ૧૯૪૫ સુધી બ્રિટીશ મહારાણી એલીઝાબેથ સલામતી માટે વિંડસર કાસલમાં રહ્યા હતા અને ૬ વર્ષ જેટલો સમયગાળો અહીં જ પસાર કર્યો હતો. જેથી કવીન એલીઝાબેથ પણ આ રહસ્ય વિશે કંઈ જાણતા ન હતા.

બીબીસી ડોકયુમેન્ટરી પ્રસ્તુત કરનાર શાહી ટીકાકાર એલેસ્ટેઅર બુસે આ વિશે કહ્યું કે આ કેટલું રસપ્રદ અને પ્રિય ગણી શકાય કે કવીન એલીઝાબેથને જ તે મહારાણી છે તે ખબર ન હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ બિસ્કીટનો ડબ્બો હજુ આ સ્થળે જ સંગ્રહિત છે. બુસે આ બાબતે મહારાણી એલીઝાબેથ સાથે પણ વિમર્શ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે આ બ્રિટીશ તાજ ૧.૨૮ કિલોગ્રામનો છે જેનું કોઈ મુલ્ય આંકી શકે નહીં. જોકે આ તાજ પહેરવાના કેટલાક નુકસાન અને જોખમો પણ જાણવા મળ્યા છે? જયારે આ તાજ માથે પહેર્યું હોય ત્યારે માથુ સીધુ જ રાખવુ પડે છે જો માથુ નીચે નમાવીએ તો તે તરત નીચે પડી જાય અને નાક કપાઈ જાય તેવું જોખમ છે તેમ છતાં આ બ્રિટીશ તાજનું મહત્વ અનન્ય છે.

જણાવી દઈએ કે, આ તાજ વર્ષ ૧૯૩૭માં બન્યો હતો. જે ૨૮૬૮ અમુલ્ય હીરા, ૧૭ સેફીર્સ ૧૧ રત્ન અને હજારો મોતીઓથી જડીત છે અને આ તાજ કીંગ જોર્જ માટે બનાવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.