Abtak Media Google News

કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા ઉપરાંત દીકરી જે ગામની હોય તે ગામમાં જ લગ્નની નોંધણી થાય તેવો કાયદો બનાવો : ભાજપના ક્લોલના ધારાસભ્યએ  વિધાનસભામાં કરી માંગ

અગાઉ પાટીદાર સમાજે પણ આ મુદો ગજાવ્યો હતો, જો કે આ મુદ્દો સામાજિક દ્રષ્ટિએ શક્ય, પણ કાયદાકીય રીતે અશક્ય

અત્યારે લવ મેરેજનો ટ્રેન્ડ વધી રહ્યો છે. માતા-પિતાની સંમતિ વગર કોર્ટ મેરેજ થઈ રહ્યા હોય ત્યારે માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી લેવાની માગ ઉત્તર ગુજરાતનો પાટીદાર સમાજ પણ ભૂતકાળમાં કરી ચૂક્યો છે. એટલું જ નહીં, બે વર્ષ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરએ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કોર્ટ મરેજમાં માતા-પિતાની સંમતિ માટેનો કાયદો બનાવવા માગ કરી હતી.હવે, ગુરુવારે આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા ઉપરાંત દીકરી જે ગામની હોય તે ગામમાં જ લગ્નની નોંધણી થાય તેવો કાયદો બનાવવા વિધાનસભામાં માગ કરવામાં આવી હતી. આમ, આ મુદ્દો વધારે જોર પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

પંચમહાલના કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે વિધાનસભાની બહાર પત્રકારોને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ‘મા-બાપની મંજૂરી વિના થતા લગ્નોથી ક્રાઈમ રેશિયો પણ ઊંચો જાય છે. જો મા-બાપની મંજૂરીથી આ કામ થાય તો 50 ટકા તો એ (ક્રાઈમ) ઘટી જાય.’ તેમણે કહ્યું કે, ‘જે કોર્ટ મેરેજ થાય છે તે જે-તે વિસ્તારમાં નોંધતા નથી, એ અન્ય જિલ્લામાં જઈને નોંધતા હોય છે. એટલે જે છોકરા-છોકરી પોતાના અણઆવડતમાં પોતાના દસ્તાવેજો સંતાડીને બીજે અન્ય જગ્યાએ જઈને લગ્નની નોંધણી કરતા હોય છે.એટલે અમારી સરકારને વિનંતી હતી, અને અમારી સરકાર પોઝિટિવ રહેશે.’ ધારાસભ્યએ કહ્યું કે, આવા જે કાયદા છે તેમાં ફેરફાર કરી તેમાં સુધારા કરવા જોઈએ.

ચૌહાણે જણાવ્યું હતું કે, ‘વકીલ, ડોક્ટર, કોઈ બિલ્ડર, નેતા, વેપારી, અધિકારી- આવા જે 24 કલાક ધંધામાં પરોવાયેલો સમાજ છે, તેઓ તેમના દીકરા-દીકરીનું ધ્યાન રાખી શકતા નથી. અસામાજિત તત્વો તેમને લલચાવી-લોભાવી આવા લગ્નો કરી લેતા હોય છે. જેના કારણે પાછળથી કેટલીક જગ્યાએ મા-બાપને આત્મહત્યા કરવી પડે છે, કોર્ટમાં જઈને ઘા નાખવી પડે છે. આવા ખૂબ મોટા બનાવો મારા વિસ્તારમાં બન્યા છે.’

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ ભાજપના ધારાસભ્યની વાતનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની દીકરી લવ મેરેજ કરે તેનો કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ ઘણા ધારાસભ્યોની માગણી હતી કે, આવા લગ્નની નોંધણી જે-તે ગામની દીકરી હોય તે ગામમાં થવી જોઈએ, તેની ધાર્મિક વિધિ ગામના મંદિરમાં થવી જોઈએ અને તેમાં સાક્ષીમાં પંચ પણ ગામના જ રાખવામાં આવે. ગનીબને કહ્યું કે,જે ક્રાઈમમાં સંડોવાયેલા હોય, જે ધંધો-રોજગાર કરતા ન હોય, જેને કોઈ દીકરી ન આપતા હોય, તેવા અસામાજિક તત્વો દીકરીઓને ભોળવીને તેમની સાથે લવ મેરેજ કરતા હોય છે અને પછી દીકરીઓને પસ્તાવાનો વારો આવે છે. આ સ્થિતિ ઊભી થતી ટાળવા માટે અમે આ માગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.