Abtak Media Google News
રફીકની હત્યાનો છ માસ પહેલાં પ્લાન બનાવી ગત ઓગસ્ટ માસમાં સોડીયમ સાઇનાઇડ ઝેર મંગાવ્યાનું ખુલ્યુ: ત્રીજા પ્રયત્ને હત્યા થઇ
અમદાવાદની ઉમા કેમિકલ પાસે સોડીયમ સાઇનાઇડ વેંચાણ માટે લાયસન્સ છે કે કેમ પોલીસ દ્વારા તપાસ થશે: એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટી

જુનાગઢમાં પરણિતા પ્રેમ સંબંધમાં આડ ખીલી રૂપ રીક્ષા ચાલક એવા યુવતીના પતિ તથા અન્ય એકની હત્યાના મામલામાં પોલીસે મરણ જનારની પત્ની તથા તેના પ્રેમી અને અન્ય એક શખ્સની કરેલ ધરપકડ બાદ, આ ઘટનામાં સાઈનાઇડ મગાવી આપનાર ઈકબાલ ઉર્ફે આઝાદને પોલીસે પકડી પાડી, તેની વિશેષ પૂછપરછ હાથ ધરી છે. આ સાથે આ મામલાની તપાસ હવે જેતપુર અને અમદાવાદ સુધી લંબાઈ છે.

જૂનાગઢના જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા યોજાયેલ એક પત્રકાર પરિષદમાં પોલીસ વડાએ પત્રકારોને આપેલી વિગતો અનુસાર, તાજેતરમાં ગાંધી ચોકમાં એક રીક્ષા ચાલક અને તેના મિત્રના થયેલ મોત બાદ આ પ્રકરણની જુનાગઢ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી, ગણતરીની કલાકોમાં આ ઘટના લઠ્ઠાકાંડ નહીં પરંતુ મર્ડર હોવાનો ઘટાસ્ફોટ કર્યા હતો, અને આ ઘટનામાં મરણ જનાર રીક્ષા ચાલકની પત્ની મહેમુદા અને તેનો પ્રેમી આસિફ, આસિફના મિત્ર ઇમરાન મળી કુલ 3 વ્યક્તિઓની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડર મેળવ્યા હતા. જે દરમિયાન મરણ જનાર બંને યુવકોને મોતને ઘાટ ઉતારવા વાપરવામાં આવેલ અતિ ઝેરી શાઇનાઇડ ક્યાંથી મંગાવવામાં આવ્યું ? કોના દ્વારા મંગાવવામાં આવ્યું ? તે અંગેની ઊંડાણ પૂર્વકની હાથ ધરવામાં આવેલ. અને તપાસ તથા  પૂછપરછમાં આ સાયનાઈડ મંગાવી આપવાની વ્યવસ્થા આસિફના સ્થાનિક મિત્ર ઇકબાલ ઉર્ફે આઝાદે કરી આપવાનું સામે આવતા, પોલીસે ઈકબાલ ઉર્ફે આઝાદને પકડી, પોલીસે મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી.

દરમિયાન ઈકબાલ ઉર્ફે આઝાદની પોલીસે હાથ ધરેલ પૂછપરછ અને તપાસ દરમિયાન ઈકબાલ ઉર્ફે આઝાદનો તેના મિત્ર આસિફે સંપર્ક કરી, સાઈનાઈડ મંગાવી આપવાનું કહેતા આસિફની મદદ માટે ઈકબાલ ઉર્ફે આઝાદે તેમના પરિચિત સફરરાજ નામના વ્યક્તિનો સંપર્ક કરી, સાડીને ચમકાવવા માટે વપરાતું કેમિકલ જોઈએ છે તેવી વાત કરતા સરફરાજે યશ ગોંડલીયા નામના યુવકને કહી, અમદાવાદની ઉમા કેમિકલ કંપનીમાંથી સાઇનાઇડ મંગાવી આપ્યું હતું. જે બાબતની કબુલાત આપતા પોલીસે આ મામલે હાલ ઇકબાલ ઉર્ફે આઝાદની ધરપકડ કરી આ સાયનાઇડ કેટલા જથ્થામાં મંગાવવામાં આવ્યું હતું ? જો વધુ મંગાવ્યું હોય તો તે ક્યાં રાખવામાં આવ્યું છે ? અને તેની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે ? તે અંગેની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી બાજુ આ સાયનાઇટ મંગાવનાર યસ ગોંડલીયા, સરફરાઝ તથા સાયાનાઇડનો જથ્થો આપનાર ઉષા કેમિકલ કંપની સુધી પહોંચી પોલીસ તપાસ હાથ ધરાઇ છે. અને આ મામલે વધુ કળીઓ મેળવાઈ રહી છે.

 પોલીસની સજાગથી લઠ્ઠાકાંડ નહીં ડબલ મર્ડર કેસનો ઘટસ્ફોટ

ગાંધી ચોકમાં રીક્ષા ચાલક અને તેના મિત્રનું પ્રવાહી પીધા બાદ થયેલ ટપોટપ મોત અંગે ઘટનાના દિવસે આ ઘટના લઠ્ઠાકાંડ હોવાની ભારે અફવાઓ જુનાગઢ શહેરમાં ફેલાઈ હતી. અને લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે ઉમટીયા હતા. ત્યારે પોલીસે આ બાબતે ઊંડાણપૂર્વક અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આ લઠ્ઠાકાંડ નહીં, પરંતુ ડબલ મર્ડર કેસ હોવાનો ઘટસ્ફોટ કરી, ત્રણ લોકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી, હત્યામાં વાપરવામાં આવેલા સાઈનાઈડનો જથ્થો મંગાવનાર ઈકબાલ ઉર્ફે આઝાદને કેદ કરી લીધા બાદ આ ઘટનામાં સજાતીય સંબંધોની વહેતી થયેલ વાતોમાં પણ કાઈ તથ્ય નહિ હોવાનું જણાવ્યું છે.

જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી એ આ અંગે જણાવ્યું હતું કે, પોસ્ટમોટમ દરમિયાન એક મૃતકના ગુપ્ત ભાગમાંથી કેટલાક પુરાવાઓ મળ્યા હતા અને આ મામલે તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ મૃતકો વચ્ચે સજાતીય સંબંધ હોવાનો કોઈ પુરાવો મળ્યો ન હતો. અને આવી રીતે કોઈ ઝેરની અસર થાય ત્યારે અચાનક થતા મોત સમયે જેમ જાડો, પેશાબ થઈ જાય તેવી જ રીતે આવા પ્રકારનો સ્ત્રાવ પણ થઈ શકતો હોય, જેથી આવા પુરાવા સામે આવ્યા હોય, પણ મૃતક વચ્ચે કોઈ સજાતીય સંબંધ હોય તેવું તપાસમાં બહાર આવ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.