અમરેલી જિલ્લાનો ધારી તાલુકો, જે તેના બાગાયતી પાક ખાસ કરીને કેરી માટે જગવિખ્યાત છે, ત્યાંના આંબાના બગીચાઓ હાલ ગંભીર રોગના ભરડામાં આવ્યા છે. મોરજર, હુડલી, રામપરા, દુધાળા, જર, જરપરા, ધારંગડી, સેલ, ખંભાળિયા સહિત આસપાસના અનેક ગામોમાં તૈયાર થયેલ કેરીના ફળમાં રોગ જોવા મળતા બગીચાના માલિક ખેડૂતો તેમજ સિઝન માટે કોન્ટ્રાક્ટ રાખનાર વેપારીઓ બંનેની હાલત કફોડી બની છે. આ રોગને કારણે પુરા વર્ષની મહેનત અને રોકાણ પર પાણી ફરી વળ્યું છે અને આ રોકડિયા પાક પર નિર્ભર ખેડૂતો બેહાલ થયા છે.
ધારી તાલુકાના આ ગામોની કેરી તેની ગુણવત્તા માટે જાણીતી છે. અહીંના ખેડૂતો આંબાના બગીચાઓનું નિર્માણ અને જતન કરવા માટે વર્ષભર અથાક મહેનત કરે છે અને મોટો ખર્ચ પણ કરે છે. સમયસર પાણી આપવું, નિંદામણ કરવું, તેમજ જીવાત અને રોગથી બચાવવા માટે નિયમિત દવાનો છંટકાવ કરવો જેવી પ્રક્રિયાઓ પાછળ નોંધપાત્ર નાણાકીય રોકાણ થાય છે. ખેડૂતો ઉનાળામાં આવતા આ એકમાત્ર ફળમાંથી સારા ભાવ અને યોગ્ય વળતરની આશા રાખે છે, જે તેમના જીવન નિર્વાહનો મુખ્ય આધાર છે.
જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી એક નવી પ્રથા અમલમાં આવી છે જેમાં ખેડૂતો દ્વારા તૈયાર થયેલા આંબાના બગીચાઓનો સિઝન પૂરતો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. આંબા પર ફાલ બેસવાની શરૂઆત થાય ત્યારે જ ખેડૂત અને કોન્ટ્રાક્ટર વચ્ચે બગીચાના ઇજારાની કિંમત નક્કી થાય છે. કોન્ટ્રાક્ટની શરતો મુજબ, કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતને પ્રથમ નિશ્ચિત રકમ એડવાન્સ તરીકે ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ જેમ જેમ કેરીનું વેચાણ થાય તેમ બાકીની રકમ આપવાની હોય છે.
આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણની તીવ્ર અસર કેરીના પાક પર જોવા મળી રહી છે. અગાઉ પણ આંબાના ફળ ખરી જવા કે ફાલ ન બેસવા જેવી સમસ્યાઓનો ખેડૂતોએ સામનો કર્યો છે. પરંતુ હાલની મુખ્ય સમસ્યા તૈયાર થયેલ કેરીના ફળોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહેલા રોગની છે.
આ સ્થિતિને કારણે કોન્ટ્રાક્ટ ઉપર કેરીના બગીચાનો ઈજારો રાખીને મોટું વળતર મેળવવાની આશા રાખનાર વેપારીઓ માટે પરિસ્થિતિ “પડ્યા પર પાટુ” જેવી બની છે. તેમણે ખેડૂતોને એડવાન્સ પેમેન્ટ ચૂકવી દીધું છે, પરંતુ રોગગ્રસ્ત કેરીને કારણે તેમને વેચાણમાં મોટું નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે. આના પરિણામે, કોન્ટ્રાક્ટરો ખેડૂતોને બાકીનું પેમેન્ટ આપી શકશે કે કેમ તે અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, જેનાથી ખેડૂતોની આર્થિક હાલત અત્યંત દયનીય બની છે.
હાલની સ્થિતિએ, આંબા પર રહેલા કુલ પાકનો અંદાજ માત્ર ૩૦ ટકા જેટલો જ છે. તેમાં પણ કેટલા ફળ રોગમુક્ત રહીને વેચાણ યોગ્ય નીકળશે તે જોવું રહ્યું. આ રોગના પ્રકોપથી ધારી તાલુકાના કેરી પકવતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરો બંને ચિંતિત છે અને તેમના વર્ષભરના રોકાણ અને મહેનત પર સંકટના વાદળો ઘેરાયા છે.
અહેવાલ: મેહુલ ત્રિવેદી