Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટ-ગોંડલ હાઇવે પર શાપર વિસ્તારમાં દારૂના ધંધાર્થી માસીયાઇ ભાઈ વચ્ચે છોકરીની દલાલીનો ધંધો શરૂ કરવા બાબતે થયેલા ઝઘડાના કારણે સગા માસીયાઇની રેલવે ફાટક પાસેથી અપહરણ કરી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી લાશને હનુમાન મંદિર પાસે ફેંકી દીધાનું પોલીસમાં નોંધાયું છે. બે નંબરના ધંધામાં ઇમાનદારી ઇચ્છતા યુવાનની હત્યાથી સનસનાટી મચી ગઇ છે.

રેલવે ફાટક પાસેથી અપહરણ કરી છ શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી યુવકને વેતરી નાખ્યો:
લાશ હનુમાન મંદિર પાસે ફેંકી દીધી

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળના દર્શન પાર્કમાં રહેતા હરેશ શૈલેષભાઇ બગડા નામના 23 વર્ષના યુવાન ગઇકાલે સવારે ઘરેથી નીકળ્યા બાદ લાપતા બનતા પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને સાંજે ગુમ થયા અંગેની પોલીસમાં જાણ કરી હતી.દરમિયાન શાપરના હનુમાનજી મંદિર પાસેથી લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે હરેશ બગડાના પરિવારજનોને મૃતદેહ બતાવતા તેઓએ લાશ ઓળખી બતાવી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક હરેશ બગડા શાપરમાં પોતાના માસીયાઇ ભાઇ ભરત મકવાણા સાથે દેશી દારૂનો ધંધો કરતો હોવાનું બહાર આવ્યું હતું.

ભરત મકવાણાએ દારૂના ધંધા સાથે છોકરીઓની દલાલી કરવાનો ધંધો શરૂ કરવાનું કહેતા હરેશ બગડાએ ઇમાનદારી દાખવી છોકરીની દલાલી કરવાની ના કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું અને ગઇકાલે હરેશ બગડાને શાપર પાસેના રેલવે ફાટક પાસેથી ભરત મકવાણા, જગા મકવાણા, દિપ રાવલ. ધવલ ઉર્ફે કોહીનુર, બ્રીજેશ ઉર્ફે લાલો અને જીગો ભટ્ટી નામના શખ્સોએ એક સંપ કરી અપહરણ કરી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યા બાદ લાશને શાપરમાં હનુમાનજી મંદિર પાસે ફેંકી દીધાનું બહાર આવ્યું છે.

પોલીસે મૃતક હરેશ બગડાની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા રોજકોટ મોકલી છે. અને ભરત મકવાણા સહિત પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.