- ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સસ્પો 2025’નો શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમ
- એક્સ્પોમાં વિવિધ 22 દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મસ્ત્યોદ્યોગ, ગ્રામ ગૃહ ઔદ્યોગિક નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમના હસ્તે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025 નો શુભારંભ કરાયો હતો. આ એક્સપોમાં વિવિધ 22 દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા હતા.અને 200 જેટલા સ્ટોલ્સના માધ્યમથી નવીનતમ ટેકનોલોજીનું આદનપ્રદાન કર્યુ હતું.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે બ્રાસ સીટીના નામે પ્રખ્યાત એવા જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તેમજ દેશ-વિદેશના ઉદ્યોગકારો સાથે સ્થાનિક ઉદ્યોગકારો પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરી શકે તે હેતુથી આયોજિત કરવામાં આવેલ આ એક્સપો ઉદ્યોગકારોને ખરા અર્થમાં ઉપયોગી નીવડશે. ઉદ્યોગો એ વિકાસના કેન્દ્રસ્થાને હોય છે ત્યારે આ ઉદ્યોગો સુરક્ષિત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ પગલાં ભરી રહી છે.ગુજરાતીઓની સાહસિકતા, પરિશ્રમ અને સરકારની નીતિઓના પરિણામે આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર વન બન્યુ છે.
આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોના માધ્યમથી ટેકનોલોજી તથા વિચારોની આપ-લે થશે જેના પરિણામે જામનગરના બ્રાસ ઉદ્યોગને ખૂબ ફાયદો થશે. બ્રાસ ઉદ્યોગમાં આગળ વધવાની ખૂબ જ ક્ષમતા છે ત્યારે આ ઉદ્યોગના વિકાસ માટે સરકાર ઉદ્યોગકારો સાથે ખભેખભો મિલાવી કામ કરી રહી છે.લઘુ ઉદ્યોગો એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે જેના માધ્યમથી સમગ્ર દેશમાં 25 થી 30 કરોડ લોકો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન જામનગર, રાજકોટ અને મોરબીને વધુ પ્રાધાન્ય મળે તે પ્રકારના નિર્ણયો લઈ આ લઘુ ઉદ્યોગોને વિકસિત કરવામાં સતત પ્રયાસરત છે.ધારાસભ્ય દીવ્યેશભાઈ અકબરીએ આ પ્રસંગે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જશે.રાજ્ય તથા કેન્દ્રની સરકારો ઉદ્યોગોના વિકાસ માટે તત્પર છે અને ઉદ્યોગોનો વિકાસ હરણફાળ ભરે તે માટે તમામ પ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈ તેનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છે.
એક્સપો વિશે વિગતો આપતા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ કેશવાલાએ જણાવ્યું હતું કે આ સંસ્થાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે જામનગર ના નાના બ્રાસ ઉદ્યોગકારોને આજના સ્પર્ધાત્મક તથા હરીફાઈયુક્ત વાતાવરણમાં વૈશ્વિક વ્યાપાર કરવાની તકો ઘરઆંગણે જ મળી રહે તે આશયથી જામનગર ખાતે તા.13 થી 16 ફેબ્રુઆરી દરમ્યાન ’જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પો-2025’ નું આયોજન હાથ ધરાયેલ છે.જેમાં જામનગર સહિત અમદાવાદ, આણંદ, અંબાલા, બેંગલોર, ભાવનગર, ચેન્નાઈ, ગાંધીનગર, ગોંડલ, ગુરૂગ્રામ, હૈદરાબાદ, ગાંધીધામ, લુધીયાણા, મુંબઈ, નાગપુર, નાસિક, ન્યુ દિલ્હી, પુણે, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, થાણે, વડોદરા, વાપી સહિતના શહેરામાંથી ઉદ્યોગકારો સહભાગી થયા છે. સાથેસાથે આ એક્ઝીબીશનમાં બેનીન, કેમરૂન, ઈજીપ્ત, ઘાના, માલી, સુદાન, તાન્જાનીયા, ઝીમ્બાબવે સહિતના 22 દેશોમાંથી ખરીદદારો તથા સરકારી સાહસોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યાં છે. નાના ઉદ્યોગકારો પાસે પોતાના ઉત્પાદનો એકઝીબીશનોમાં પ્રર્દશીત કરી શકે તેટલું બજેટ કે માહિતી હોતી નથી ત્યારે ઘરઆંગણે જ આ પ્રકારનો મંચ મળે તે માટે રાજય સરકારની સબસીડીનો લાભ લઈ ઉદ્યોગકારોએ તેમના સ્ટોલ રાખેલ છે ત્યારે આવનાર દિવસોમાં આ એકસ્પો બ્રાસઉદ્યોગ માટે અતિ ફળદાયી નિવડશે.
આ પ્રસંગે ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટિ ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, સહિત બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતા.