Abtak Media Google News

અસાધ્ય કહી શકાય તેવી બિમારી સામે આવે ત્યારે ભલભાલા હિંમત હારી જતા હોય છે. તેમાં પણ જ્યારે કોઈ બાળકને ગંભીર બિમારી હોવાનું નિદાન થાય અને તે બિમારીમાંથી સાજા થવા માટે લાખોનો ખર્ચ થવાનો હોય. આ સમયે બાળકના માતા-પિતા સાથે સમગ્ર પરિવારની કસોટી થતી હોય છે.કેશોદની મિરલ લક્ષમણભાઈ ગરચરની. જે રેરેસ્ટ ઓફ ધી રેર કહી શકાય તેવી ‘એ પ્લાસ્ટકિ એનેમિયા‘ નામની ગંભીર બિમારીથી પિડિત હતી. જેમાં શરીરમાં લોહી બનતું નથી અથવા લોહી બનવાની પ્રકિયા અવરોધાય છે. આ એ પ્લાસ્ટકિ એનેમિયાનો ગુજરાતનો બીજો જ કેસ છે. જેમાં સફળતાપૂર્વક બોર્ન મેરો ટ્રાન્સપ્લાંટ સર્જરીથી મિરલ ‘નવો જન્મ’ મળ્યો છે.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ મિરલની બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી: કેશોદમાં ગુજરાતનો ‘એ પ્લાસ્ટિક એનેમિયા’નો બીજો જ કેસ, રૂ. 45 લાખથી વધુના ખર્ચની સારવાર વિનામૂલ્યે અપાઈ

મિરલને સાજી કરવા તેના માતા મીરલબેને જીએસઆરટીસીની નોકરી પણ ત્યજી. મિરલને ફરી હસતી-રમતી કરવા માટે પોતાનું જીવ રેડી દીધો. પરંતુ એ પ્લાસ્ટિક એનેમિયા બીમારીમાંથી સાજા થવા માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવી પડે તેમ હતી. તેમાં અંદાજે રૂ. 45 લાખથી વધુનો ખર્ચ આવતો હતો. ત્યારે સ્વભાવિક રીતે જ ગરીબ તો ઠીક મધ્યમ વર્ગના પરિવારને પણ આ ખર્ચ પરવડે નહીં. આ સ્થિતિમાં ગરચર પરિવારને સાથ મળ્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ-યોજના અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનો. જેથી મિરલની બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક થઈ શકી. તેના પરિણામે મિરલ ફરી હસ્તી રમતી થઈ છે. તેનો રાજીપો મિરલના માતા અને ગરચર પરિવારના સભ્યોના ચહેરા પર જોવા મળી રહ્યો છે.

મિરલને બચાવવાના સંઘર્ષની વાત કરતા માતા રીનાબેન કહે છે કે, મિરલ ચાર વર્ષની હતી ત્યારે તેને તાવ આવ્યો, એક ખાનગી હોસ્પિટલમાં નિદાનમાં સામે આવ્યું કે મીરલનું લોહી જ બનતું નથી. આ બિમારીને બ્લડ કેન્સર જેવી જ ગણવામાં આવે છે. જેથી ડોક્ટરની સલાહ મુજબ અમદાવાદની એક કેન્સર હોસ્પિટલમાં દાખલ અને સારવાર શરૂ કરવામાં આવી. સારવાર અને દવાથી બીજા ચાર વર્ષનો સમય ગાળો પસાર થઈ ગયો. પરંતુ ફરી એ પ્લાસ્ટિક એનેમિયાના લક્ષણો સામે આવ્યા. આ વખતે સર્જરી વગર મિરલનો જીવ બચાવવો શક્ય ન હતો. હવે આ સારવાર ગુજરાતમાં પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી. પહેલાં ચેન્નાઈ, મુંબઈ વગેરે મહાનગરોમાં જવું પડતું હતું.

રીનાબેન કહે છે કે, આ દરમિયાન જાણવા મળ્યું કે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની સારવાર વિનામૂલ્ય થઈ શકે છે આ માટે જરૂરી કાગળો-દસ્તાવેજ પ્રક્રિયા પૂર્ણ કરી જેના આધારે મિરલની સર્જરી થઈ શકી. મિરલની આ સર્જરી અને સારવાર દરમિયાન આરોગ્ય કર્મીઓનું ખૂબ સહકાર મળ્યો સાથે જ તેમણે ખૂબ હિંમત પણ આપી તેમ જણાવતા રીનાબેને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Miral Garchar Story4

બોન મેરો ટ્રાન્સપ્લાંટમાં મિરલને બે મહિના સુધી આઈસીયુમાં રાખવી પડી, તેમાં લોહીની ઉલ્ટી થવી વગેરે… આ સ્થિતિ ઘણાં જોઈ પણ ન શકે ! તેમાં મારા સાસુએ ખૂબ ધીરજ અને સુજબુઝથી મિરલની કાળજી લીધી. સાથો સાથ મિરલને સારવારના ભાગરૂપે કિમોથેરાપી પણ આપવામાં આવતી હતી. જેથી ભારે ગરમીના લીધે મોઢા સહિત સમગ્ર શરીરમાં ચાંદા પડ્યાં હતા. આ સ્થિતિમાં ભલભલાની હિંમત ડગી જાય પણ ઈશ્વર કૃપા અને સૌના સાથી આ મુશ્કેલીમાંથી બહાર આવ્યા. બે મહિના બાદ મિરલને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવી અને પછી ડોક્ટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ ચાર મહિના સુધી હોસ્પિટલમાં રોકાણ કરવું પડ્યું.

મિરલને કીમોથેરાપી આપવાથી તેના ચાર-પાંચ વખત વાળ પણ જતા રહ્યા. આજે  મિરલની બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના ત્રણ વર્ષ બાદ એકદમ સ્વસ્થ છે, ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કરે છે અને નિયમિત સ્કૂલે જાય છે. હા, કીમોથેરાપી આપવાના લીધે આંખોમાં થોડી તકલીફ છે. પણ તેની પણ સારવાર ચાલી રહી છે.

બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી બાદ એક નવું જ બાળક જન્મ્યું હોય તેમ જ બધા પ્રોટોકોલ અનુસરવામાં આવે છે, તેને તમામ જરૂરી સારવારની સાથે રસી મૂકવામાં આવે છે. તેમ રીનાબેન ગરચરે જણાવ્યું હતુ. મિરલના પિતા લક્ષમણભાઈ શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમણે પણ વિપરીત સ્થતિ વચ્ચે પણ મિરલને બચાવવા માટે ખૂબ ધીરજ દાખવી હતી.

આમ, માતાની મમતા અને સરકારના સાથથી ફરી ગરચર પરિવારનુ આંગણું દિકરના કલરવથી મહેકી ઉઠ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.