Abtak Media Google News

કાશ્મીરી પંડિતોના પુર્નવસન હેતુસર વિવિધ સ્થળોએ ૨૦૦૦ જેટલી રોજગારીઓ ઉભી કરતી મોદી સરકાર

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી કાશ્મીરી પંડિતોને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે કાશ્મીરી પંડિતોના સંગઠન એવા કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિએ વ્યવસ્થાપન અને વસવાટ તેમજ નોકરીઓને લઈને ઘણા પ્રશ્ર્નો ઉભા કર્યા છે. જેના નિરાકરણને વાચા આપી પંડિતોને કાશ્મીરમાં સ્થાયી કરવા તરફ મોદી સરકારે વિરાટ પગલુ ભર્યું છે. ધ જમ્મુ એન્ડ કાશ્મીર એડમિનિસ્ટ્રેટીવ કાઉન્સીલે કાશ્મીરી પંડિતોની રોજગારી માટે આશરે ૨૦૦૦ જેટલી અલગ અલગ જગ્યાઓને મંજુરી આપી દીધી છે.

જમ્મુ-કાશ્મીર ખીણમાં સ્થાયી થવા માંગતા પંડિતો માટેની આ જગ્યાઓને કેન્દ્ર સરકારે પ્રાઈમ મીનીસ્ટર્સ પેકેજ અંતર્ગત મંજુરી આપી છે. તાજેતરમાં લેફ. ગવર્નર મનોજસિંહાની અધ્યક્ષતામાં ધ એડમીનીસ્ટ્રેટીવ કાઉન્સીલની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો તેમણે જણાવ્યું હતુ કે, નોંધાયેલા કાશ્મીરી પંડિતો અને બહારથી આવેલા પંડિતો કે જે કાશ્મીરમાં કાયમી સ્થાયી થવા માંગે છે. તેઓને માટે પ્રાઈમ મીનીસ્ટર્સ પેકેજ અંતર્ગત ખાલી પડેલી ૧૯૯૭ જેટલી જગ્યાઓને મ્હોર આપવામાં આવી છે.

એડમીનીસ્ટ્રેટીવ કાઉન્સીલે ભરતી પ્રક્રિયા હાથ ધરવા બાબતે પણ મંજુરી આપી છે. જે અંતર્ગત જણાવાયું છે કે, આપદા નિવારણ વિભાગ, બચાવ કાર્ય અને બાંધકામ વિભાગ દ્વારા આવનારા છ માસમાં વિવિધ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.જેમાં સબ ઈન્સ્પેકટર કોમર્શિયલ ટેકસ અને આસિસ્ટન્ટ કમ્પ્લાયરઈન ફાઈનાન્સ ડીપાર્ટમેન્ટ ફીલ્ડ આસિસ્ટન્ટ, ફિલ્ડ સુપરવાઈઝર, આસીસ્ટન્ટ સ્ટોર કીપર જેવી જગ્યાઓનો સમાવેશ કરાયો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કાશ્મીરી પંડિતોને સરકારી નોકરીઓની તક મળશે તેમજ રોજગારી મળતા પૂનવર્સન માટેના નવા દ્વાર ખૂલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.