Abtak Media Google News

રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં, કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટી તેમજ અન્ય પરીબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે. તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ પણ થાય છે. તેથી આ પાક ઉત્પાદનને બચાવવા અને ખેત પેદાશોના સંગ્રહની પુરતી સગવડતા પુરી પાડવા માટે સરકારે ખાસ ખેડૂતો માટે ગોડાઉન યોજના ઉપલબ્ધ કરી છે.

જેથી પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. આ યોજનાના લીધે ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉનની સગવડતા મળવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહે છે અને યોગ્ય સમયે તેનું વેચાણ કરી આર્થિક લાભ પણ મેળવી શકાય છે. પરીણામે ખેતી વધુ નફાકારક બની રહે છે.

નાણાકિય વર્ષ 2022-23માં રાજ્ય સરકારની આ યોજનાનો લાભ મોરબી જિલ્લાના 124 ખેડૂતોએ મેળવ્યો છે. આ યોજના થકી મોરબી જિલ્લાના ખેડૂતોને અંદાજે રૂ. 9300000ની સહાય પૂરી પાડવામાં આવી છે.

આ યોજના અંતર્ગત ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને ખેત પેદાશ સંગ્રહ ગોડાઉન તેમની પોતાની ખેતીની જમીન પર જ બનાવવાનું રહે છે. સરકાર રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચનાં 50% અથવા રૂ. 75000 (પંચોત્તેર હજાર) બે માંથી જે ઓછુ હોય તે સહાય તબક્કે ચુકવે છે. ઉપરાંત દિવ્યાંગ(માન્ય પ્રમાણપત્ર ધરાવતા)ને 5%ની મર્યાદામાં અને તેમાં પણ દિવ્યાંગ મહિલાને યોગ્ય પ્રાધાન્યતા સાથે અનામતનો લાભ પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા આ યોજનાની સહાયની રકમ સીધી લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે.

સરકારની ગોડાઉન યોજનાના મોરબી જિલ્લાના લાભાર્થી વાલીબેન ધનજીભાઇ દલવાડીના ઘરનાં સભ્ય જાણાવ્યું કે અમારા માટે આ યોજના ખૂબ જ લાભકારક રહી છે. જ્યારે અમારી પાસે ગોડાઉનની સુવિધા ન હતી ત્યારે ટાઢ-તડકા, વરસાદ વગેરે જેવી કુદરતી ઘટનાના ઉપક્રમે પાકને નુકશાન થતું હતું જેના કારણે ખેત પેદાશનું યોગ્ય વળતર મળતું નહીં.

પરંતુ ગોડાઉનના કારણે હવે તે સરખી રીતે ખેતપેદશનો સંગ્રહ કરી શકીએ છીએ. સરકારની આ પેદાશ સંગ્રહ ગોડાઉન યોજના અમને ખૂબ ફળી છે. સરકાર આમ જ ખેડૂતોને પ્રોત્સાહન આપે એ ખેડૂત માટે ખૂબ સારી બાબત છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.