- મૃતક પરિવારોને ન્યાય અપાવવા જવાબદાર અધિકારીઓને ન માત્ર સસ્પેન્ડ, ગુના પણ દાખલ કરવા જોઈએ
- ઓરેવાના જયસુખ પટેલ, કલેક્ટર તંત્ર અને મોતનો મલાજો ન જાળવનાર હોસ્પિટલ તંત્ર સામે સરકાર કાર્યવાહી કરવાની હિંમત કરશે?
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં બેદરકાર ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે મૃતક પરિવારોને ન્યાય અપાવવા જવાબદાર અધિકારીઓને ન માત્ર સસ્પેન્ડ, ગુના પણ દાખલ કરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. બીજી તરફ ઓરેવાના જયસુખ પટેલ, કલેક્ટર તંત્ર અને મોતનો મલાજો ન જાળવનાર હોસ્પિટલ તંત્ર સામે સરકાર કાર્યવાહી કરવાની હિંમત કરશે ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
મોરબી ગત રવિવારનો દિવસ ગોઝારો બની ગયો હતો. જેમાં ઝૂલતો પુલ તૂટતાં 400થી 500 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા, જેમાં 50થી વધુ બાળકો સહિત 135 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના મામલે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે , જેમાં મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઇ છે. રવિવારે જ્યારે આ ઘટના બની ત્યારે સમગ્ર મોરબી સ્તબ્ધ થઈ ગયું હતું. મોતની ચિચિયારીઓની સાથે એમ્બ્યુલન્સની સાયરનોએ ચકચાર જગાવી હતી. હોસ્પિટલોમાં લોકોનું દુ:ખદ આક્રંદ જોવા મળ્યું હતું. ત્યારે રવિવારે રાત્રે જ પોલીસે 9 જવાબદાર લોકો સામે ગુનો નોંધ્યો હતો.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ અગાઉ ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો. એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપે ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. જેથી ચીફ ઓફિસરની સંદિપસિંહ ઝાલા બેદરકારી સાબિત થતી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- સતત પાંચ દિવસની શોધખોળ બાદ સર્ચ ઓપરેશન સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરાયું
- રાહત કમિશનરે ઘટનાસ્થળેની મુલાકાત લઈ હવે કોઈ મિસિંગ ન હોવાથી લીધો નિર્ણય
દુર્ઘટના બાદ સતત પાંચ દિવસથી એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મી, નેવી, ફાયરબ્રિગેડ સહિતની રાહત તેમજ બચાવ કામગીરીમાં જોડાયેલી અનેક દળોની ટીમો રાહત કામગીરી માટે તથા સર્ચ ઓપરેશન માટે તૈનાત હતી. સતત પાંચમા દિવસે નદીમાં રેસ્ક્યું ઓપરેશન ચાલુ રખાયું હતું. જેમાં કોઈ લાપત્તા વ્યક્તિઓ ના રેહતા ગત મોડી સાંજે ઝૂલતા પુલ દુર્ઘટનાનું રેસ્કયું ઓપરેશન સત્તાવાર પૂર્ણ જાહેર કરાયું હતું.મોરબીમાં કલેકટર કચેરી ખાતે રાહત કમિશ્નર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી દરેક દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં હર્ષદ પટેલને આ સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. જોકે 31 ઓક્ટોમ્બર સાંજ સુધી મૃતદેહો મળ્યા હતા. ત્યાર બાદ છેલ્લા ત્રણ દિવસથી કોઈ જ ડેડબોડી મળી નથી. તેમજ બે વ્યક્તિ મિસિંગ હોવાની જે માહિતી કંટ્રોલ રૂમમાં મળી હતી તેની ખરાઈ કર્યા તે માહિતી ખોટી નીકળી હોવાનું તંત્રે જણાવ્યું છે.