- ગોડાદરા વિસ્તારમાં 40થી વધુ લોકો બીમાર, 22 વર્ષીય યુવકનું મો-ત
- આરોગ્ય વિભાગ અને મનપાની ટીમે ઘટના સ્થળેથી પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરી
- સમગ્ર મામલે મનપાની ટીમે તાત્કાલિક ટેન્કમાં ભરાયેલું પાણી કરાવ્યું ખાલી
સુરતના ગોડાદરા વિસ્તારની મહારાણા પ્રતાપ સોસાયટીમાં ગંદુ અને દુષિત પાણી આવતું હોવાના આક્ષેપ સાથે ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. તેમજ ગંદા પાણીના કારણે 22 વર્ષીય યુવકનું મોત થયુ હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે 40થી વધુ રહીશો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોવાનું સોસાયટીના લોકોએ જણાવ્યું હતું. સમગ્ર મામલે મનપાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને તમામ ઘરોના ટેન્કોમાં ભરાયેલું પાણી ખાલી કરાવ્યું હતું. ત્યારે આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકા બંનેએ ઘટના સ્થળે પાણીના નમૂના લઈ વધુ તપાસ હાથ ધરી છે
સુરતના ગોડાદરા વિસ્તારની મહારાણા પ્રતાપ સોસાયટીમાં ગંદા અને દુષિત પાણી આવતું હોવાના આક્ષેપ સાથે ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. તેમજ સુરત મહાનગરપાલિકાની લાપરવાહીનો ભોગ બનીને 22 વર્ષીય જયેશ ઉદ્ધવ સીરસાગર નામના યુવકનું મો*ત નીપજ્યું છે, જ્યારે 40થી વધુ રહીશો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સોસાયટીના લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી તેમને દુર્ગંધયુક્ત અને ખરાબ પાણી સપ્લાય થઇ રહ્યું હોવાના આક્ષેપો છે. આ બાબતે મહાનગરપાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ કોઈ ધ્યાને લીધું ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિણામે, ગત કેટલાય દિવસોથી સતત ઉલટી, જાડા, તાવ અને પેટમાં દુઃખાવાની ફરિયાદો વધી હતી. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે એક પછી એક 40થી વધુ લોકો બીમાર પડતા આરોગ્ય વિભાગ દોડતું બન્યું. અચાનક એક યુવકના મો*ત બાદ તંત્ર દોડતું થયું અને આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકા બંને ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
સોસાયટીના અંદાજિત 250 ઘરોમાં દુષિત પાણી પહોંચ્યું હોવાનો આક્ષેપો છે. મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને તમામ ઘરોના ટેન્કોમાં ભરાયેલું પાણી ખાલી કરાવ્યું. આ સાથે, પાણીના નમૂનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. દૂષિત પાણીના પ્રભાવથી અસરગ્રસ્ત ઘણા લોકો હાલ ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. ભારે અસંતોષ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય પણ સોસાયટીની મુલાકાતે પહોંચ્યા હતા અને ઘટના અંગે માહિતી મેળવી તાત્કાલિક કાર્યવાહી કરવા તંત્રને સુચના આપી.
મહાનગરપાલિકા દ્વારા હવે સોસાયટીમાં લોકજાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં ઝાડા, ઉલટી જેવી બીમારીઓથી બચવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. સાવચેતી ભર્યા પગલાં તરીકે મનપાની એમ્બ્યુલન્સને સોસાયટીની બહાર સ્ટેન્ડ બાય પર મુકવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક રહીશો હવે માંગ કરી રહ્યા છે કે સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે અને આવી ઘટનાની પુનરાવૃત્તિ ના થાય તે માટે સ્થાયી ઉપાય કરવામાં આવે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય