Abtak Media Google News

કારમાં આવેલા બે શખ્સો હુમલો કરી ફરાર: ઘવાયેલા ધર્મેન્દ્ર ગૌસ્વામી ગંભીર રીતે ઘવાતા જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયો

ગીર સોમનાથ જિલ્લાના આરટીઆઇ એક્ટિવીસ્ટ અમિત ભીખુભાઇ જેઠવાની હત્યાના કેસના મુખ્ય સાહેદ  ધર્મેન્દ્ર ગૌસ્વામી પર દિવમાં બે અજાણ્યા શખ્સોએ ખૂની હુમલો કરી કારમાં ભાગી ગયાનું પ્રકાસમાં આવતા સનસનાટી મચી ગઇ છે. હત્યા કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિતના શખ્સોને અદાલતે તકસીરવાન ઠેરવી સજા ફટકારી હતી. દિનુ બોઘા હાલ સુપ્રીમ કોર્ટના જામીન પર મુક્ત છે. અને એક શખ્સ પેરોલ મેળવ્યા બાદ વોન્ટેડ છે. ત્યારે ધર્મેન્દ્ર ગૌસ્વાીમી પર હુમલો થતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે. ઘનવાયેલા ધર્મેમન્દ્ર ગૌસ્વામીને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ધર્મેન્દ્ર ગોસ્વામીના પુત્રના અપહરણ મામલાની હાઈકોર્ટમાં તારીખ હતી ત્યારે જ આ હુમલો થતા અનેક સવાલો પેદા થઈ રહ્યા છે. મામલાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે અને જૂનાગઢ સારવાર હેઠળ રહેલા ધર્મેન્દ્ર ગોસ્વામી પાસે પહોંચી ગયો છે.વર્ષ 2010માં ગીર સોમનાથ જિલ્લાના ખાંભાના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હાઈકોર્ટ સામે જ હત્યા કરી દેવાઈ હતી.

આ કેસમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રિજા સહિતના આરોપીઓને સીબીઆઈ કોર્ટે સજા ફટકારી હતી, બાદમાં હાઈકોર્ટે દિનુ બોઘાની સજા મોકૂફ રાખી જામીન મંજૂર કર્યા હતા. ત્યારે આ અમિત જેઠવા હત્યા કેસના મુખ્ય સાક્ષી ધર્મેન્દ્ર ગોસ્વામી પર ખૂની હુમલાના સમાચાર આવતા ચકચાર જાગી છે. મળતી વિગતો મુજબ ધર્મેન્દ્ર ગોસ્વામીના પુત્રના અપહરણ કેસ મામલે આજરોજ ગુજરાત હાઈકોર્ટમાં તારીખ હતી. ત્યારે આજરોજ સવારે 11 વાગ્યા આસપાસ ઉના તાલુકાના અહેમદપુર માંડવી નજીકના મીની દીવ ગામ ખાતે ધર્મેન્દ્ર ગોસ્વામી પર જીવલેણ હુમલો  કરી અજાણ્યા શખ્સો કારમાં ભાગી ગયા છે.

ધર્મેન્દ્ર ગોસ્વામી મીની દીવ ગામ ખાતે હતા ત્યારે અજાણ્યા શખ્સો કારમાં ઘસી આવ્યા હતા. જેમણે લોખંડના પાઈપ અને સળીયા જેવા હથિયાર વડે ગોસ્વામી પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ લોખંડના સળીયા વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા ધર્મેન્દ્ર ગોસ્વામીને ઉનાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે તેમને જૂનાગઢ ખાસે ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

ઘટનાની જાણકારી મળતા જ ઉના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે ઉના પોલીસ સ્ટેશન દ્વારા જણાવાયું છે કે, ઘટનાના પગલે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ હોસ્પિટલ જઈ પીડિતનું નિવેદન નોંધવાની અને આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી રહી છે.હત્યા કેસનો મુખ્ય આરોપી ફરાર છે.

ઉલ્લેખનીય છે કે અમિત જેઠવા હત્યા કેસના મુખ્ય આરોપી શૈલેષ પંડ્યા હાલ પેરોલ પર છુટ્યા બાદ હાલ ફરાર છે. ત્યારે આ ઘટનાના મુખ્ય સાક્ષી પર હુમલો થતા અનેક તર્ક વિતર્ક સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.