Abtak Media Google News

બાપુનો 14 વર્ષનો વનવાસ પૂર્ણ: ભાજપના સમર્થક બાદ હવે “નેતા”

રાજકોટ-લોધિકા ખરીદ-વેંચાણ સંઘના ચેરમેન અને ક્ષત્રિય સમાજના કદાવર નેતા, જીવન કોમર્શિયલ બેન્કના એમ.ડી. નરેન્દ્રસિંહ જાડેજાએ આજે વિધીવત રીતે કેસરિયા કરી લીધા છે. ભાજપની વિકાસની રાજનીતીથી પ્રભાવિત થયેલા નરેન્દ્રસિંહ છેલ્લા 14 વર્ષથી સામાન્ય સભ્ય ન હોવા છતાં ભાજપના પ્રખર સમર્થક રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કાર્યકાળ ઉપરાંત હાલ પણ તેઓ પક્ષને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. આજે હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ અને લોધિકા તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને જસદણ તાલુકાના આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા હતા. આ શુભ અવસરે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ વિનોદભાઇ ચાવડા, રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં નરેન્દ્રસિંહે વિધીવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

Dsc 5810

અત્રે ઉલ્લેખનીય છે કે 2005 થી 2010ની ટર્મમાં નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા તરીકે સુપેરે જવાબદારી નિભાવી ચુક્યા છે. તેઓ છેલ્લા 14 વર્ષથી ભાજપના પ્રખર સમર્થક છે. પક્ષના સામાન્ય સભ્ય પણ ન હોવા છતા તેઓને ભાજપ દ્વારા રાજકોટ લોધિકા સંઘના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. એક શિસ્તબદ્વ સૈનિકની માફક તેઓએ હમેંશા કામ કર્યું છે. આજે તેઓનો 14 વર્ષનો વનવાસ જાણે પૂરો થયો હોય તેમ તેઓએ વિધીવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના ટોચના નેતાઓએ નરેન્દ્રસિંહને પક્ષમાં સહર્ષ આવકાર્યા હતા. સાથોસાથ તેઓના વિધીવત રીતે આગમનથી પક્ષ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ગુજરાત વિધાનસભાના ચૂંટણી વર્ષમાં કોંગ્રેસને મરણતોલ ફટકા પડી રહ્યા છે. રાજકોટ અને લોધિકા તાલુકાના કોંગ્રેસના  અને જસદણ તાલુકાના આમઆદમી પાર્ટીના 350થી વધુ કાર્યકરોએ કેશરીયા કર્યા હતા. રાજકોટ તાલુકા ના કોંગ્રેસના પ્રમુખ  સંજયભાઈ ખૂંટ અને લોધિકા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ  મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં તેમજ જસદણ તાલુકાના આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ   મનસુખભાઈ ખાચરિયા ના અધ્યક્ષ સ્થાને તથા સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા , જિલ્લા પ્રભારી શ્રી રક્ષાબેન બોડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના મુખ્ય હોદેદારો  તથા આમ આદમી પાર્ટીના મુખ્ય હોદેદારો સહિત 350 કાર્યકર્તાઓને ભાજપનો કેસરિયો ખેસ અને કેશરી ટોપી પહેરાવીને ભાજપ પરિવારમા પ્રવેશ કરાવ્યો હતો.

Dsc 5801

પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ તમામ કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકર્તાઓને  કેસરિયો ખેસ અને કેશરી ટોપી પહેરાવી સહુને આવકારીને અભિનંદન આપતા કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસની નકારાત્મક ભૂમિકાને તેમજ પરિવારવાદ ની રાજનીતિને ઓળખી ચૂકી છે. નહેરુવાદ કોંગ્રેસ ક્યારેય દેશનું ભલું કરી શકે તેમ નથી. કોંગ્રેસના શાસનમાં કૌભાંડોની હારમાળાઓ સર્જીને દેશને આર્થિક નુકશાની આપીને દેશને અંધકાર ભર્યા યુગમાં ધકેલી નાખ્યો હતો. કોંગ્રેસની ચંડાલ  ચોકડીએ દેશને લૂંટવાનું જ કામ કર્યું છે. જ્ઞાતિવાદ અને જાતિવાદની રાજનીતિ કરીને દેશમાં ભાગલાની રાજનીતિ  કરીને દેશ ને ખોખલો કરી નાખ્યો છે. ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિવાદ કે જાતિવાદ નહીં રાષ્ટ્રવાદની વિચારધારા ધરાવે છે. જેને કારણે દેશમાં તમામ ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. ભાજપના શાસનમાં તમામ જરૂરિયાતમંદ તેમજ ગરીબોને સરકારશ્રીની સહાયો , યુવાનોને રોજગારી, ખેડૂતોને નિયમિત સમયે વીજળી પાણી , ગ્રામ્ય સ્તરે રોડ રસ્તા, બહેનોને આર્થિક રીતે પગભર કરવા આર્થિક સહાયો પૂરી પાડી સમાજના તમામ વર્ગોને આત્મનિર્ભર બનાવવામાં સરકારે સહાયો પૂરી પાડી છે.

દેશના વિકાસને જોઈને કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માં વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે બદલ તે સર્વેને આવકારીને અભિનંદન પાઠવીએ છીએ. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ  મનસુખભાઈ ખાચરીયા એ કોંગ્રેસના કાર્યકર્તાઓને કેસરીયો ખેસ અને કેસરી ટોપી પહેરાવી આવકારી અભિનંદન આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગરીબોના હક અને હિસ્સાઓ અને સહાયો સીધા તેમના બેન્ક ખાતામાં મળતા થયા, જેને કારણે કોંગ્રેસના વચેટિયાઓ ના છાલિયાણા બંધ થઈ ગયા લોકોને સહાય સીધી મળતા ભ્રષ્ટાચાર ઉપર કાબુ આવતા દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. દેશની પ્રગતિનો હિસ્સો બનવા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થતા દેશના વિકાસને ટેકો આપવા આજે રાજકોટ અને લોધિકા ,જસદણ તાલુકાના  કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત  કાર્યકર્તાઓ તેમજ જસદણના આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને અને કોંગ્રેસને અને આપ પાર્ટીને  રામ રામ કરી ને ભાજપમાં જોડાયા તે બદલ સર્વેને આવકારતા અને હર્ષની લાગણી અનુભવતા હાકલ કરી હતી. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડનાર રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ   બાબુભાઈ નસીત અને રાજકોટ લોધિકા સંઘ ના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજા ના પ્રયત્નોથી રાજકોટ તાલુકા તેમજ લોધીકા તાલુકા ના કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપમાં જોડીને કોંગ્રેસને ખૂબ મોટો આંચકો આપ્યો છે આ વિસ્તારમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.