Abtak Media Google News

પંજાબ અને હરિયાણા સહિતના પાંચ રાજ્યોમાં ખેડૂતો જે “પરાલી” નામનો ઘાસચારો બાળી નાખે છે તે સૌરાષ્ટ્રના પશુ પાલકો માટે લવાશે : કેન્દ્રીય મંત્રી

ખેડૂતોની માફક હવે માલધારી, પશુપાલકો અને માછીમારોને નજીવા વ્યાજે ધિરાણ અપાશે

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા હવે પાક સુકાય રહ્યો છે સાથે સાથ પીવાના પાણીની પણ તંગી ઉભી થવા પામી છે. સૌરાષ્ટ્રમાં જન આશિર્વાદ યાત્રા લઇને નિકળેલા કેન્દ્રીય પશુપાલન મત્સ્ય અને ડેરી મંત્રાલયના કેબીનેટ મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ આજે સરધાર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભારપૂર્વક જણાવ્યું હતું કે પીવાના ભોગે સિંચાઇ માટે પાણી આપવામાં આવશે નહીં. પીવાનું પાણી અનામત રખાયા બાદ વધારાનું પાણી સિંચાઇ માટે કે ઉદ્યોગ માટે આપવામાં આવશે.

આજે સવારે સરધાર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય કેબીનેટ મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ખેડૂતોને ઓછા વ્યાજે કે શૂન્ય ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવે છે. તે રીતે માલધારીઓ, પશુ પાલકો અને માછીમારોને ધિરાણ આપવામાં આવશે. દૂધ સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ રાજ્યમાં વરસાદ ખેંચાતા સિંચાઇ માટે પાણીની જરૂરિયાત ઉભી થવા પામી છે ત્યારે પીવાના પાણીના ભોગે સિંચાઇમાં પાણી આપવામાં આવશે નહીં.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ઘાસચારાની પણ તંગી ઉભી થવાની સંભાવના છે. હાલ કચ્છ અને વલસાડમાં પર્યાપ્ત ઘાસચારો છે. જેથી ચિંતાની કોઇ સ્થિતી નથી. પંજાબ અને હરિયાણા સહિતના પાંચ રાજ્યમાં ઘઉ અને ડાંગરની પરાલીનો ઉપયોગ ઘાસચારા માટે કરી શકાય તેમ છે. આ રાજ્યના ખેડૂતો આ પરાલીને બાળી નાંખેલ છે. હવે આ પરાલી બાળી નાખવાના બદલે તેનો ઘાસચારા તરીકે ઉપયોગ કરી શકાય તે માટે એક કમિટિની રચના કરવામાં આવી છે. આગામી દિવસોમાં રેલવે દ્વારા આ પરાલી સૌરાષ્ટ્રમાં મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે એમ.એસ.પી. અંગેનો નિર્ણય પણ સરકારે કર્યો અને એમ.એસ.પી. રાજ્ય સરકાર સાથે મળી છેવાડાના ખેડૂત સુધી પહોંચે તેવા પ્રયાસો થયા છે. ખેડૂતોને મજબૂત કરવા અને તેમની જિંદગીમાં સુધારા આવે તે માટે કેટલીય યોજનાઓ સરકારે જાહેર કરી છે. જેમાં સુજ્જલામ સુફલામ અંગે થતા ફાયદા જણાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 20 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. ખેતીને મજબૂત કરવા ઘણા કામો કર્યા છે.

ખેડૂતોને કેસીસી મળે છે. ખેડૂતો પહેલા 18 ટકા વ્યાજે પાક ધિરાણ લેતા હતા અને આજે ગુજરાતના ખેડૂતને 0 ટકે પાક ધિરાણ મળે છે તેના માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇનો આભાર માન્યો સાથે પશુપાલકોને પણ ખેડૂતોની જેમ કેસીસી મળે છે.જે ગુજરાત સહિત દેશના પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય છે. ખેતી પછી પશુપાલક ક્ષેત્રે વધુ રોજગારી મળી રહે છે સાથે મત્સ્ય પાલકોને પણ કેસીસીનો લાભ મળે છે.

સમુદ્ર ખેડૂતોને પણ હવે કેસીસી લાભ મળે તેવો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કર્યો છે અને આની અસર ગ્રામ્ય જીવન ઉપર થવાની છે અને આ યોજનાને છેવાડાના માનવી સુધી લઇ જવાની છે તેનો આગ્રહ કર્યો.દેશની અંદર પાક લીધા પછી ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, કોલ્ડ સ્ટોરેજના અભાવે મુખ્ય પાકો સહિત ફળ ફળાદી જેવા પાકોનું મોટું નુકશાન થતું હતું. ઇન્ફાસ્ટ્રક્ચર ફેસેલીટી માટે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રી ઇન્ફાસ્ટ્રક્ચર ફંડનું સર્જન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે.

ગુજરાતમાં 4 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. સમગ્ર દેશની અંદર 55 કરોડના આંકડાને આંબી ગયા છે. વિરોધીઓની ટીકા કરવામાં મને રસ નથી અને લોકોને અપીલ કરી કે જેમણે પણ હજી રસી ન લીધી હોય તે કોરોના સામેની રસી વહેલાસર લઇ લે અને મારૂં સૌભાગ્ય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મંત્રીમંડળમાં કામ કરવાનો અવસર મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.