Abtak Media Google News

અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ સહિતના આઠ મહાનગરોમાં કાલથી કર્ફ્યુ મુદતમાં એક કલાકનો ઘટાડો :11 વાગ્યા સુધી હરવા ફરવાની છૂટ 

અબતક, રાજકોટ  : કોરોનાના વળતા પાણી જેવી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ સહિતના આઠ મહાનગરોમાં આવતીકાલથી કર્ફ્યુ મુદતમાં એક કલાકનો ઘટાડો કરી 11 વાગ્યા સુધી લોકોને હરવા ફરવાની છૂટ આપી છે તો બીજી તરફ બે દિવસ પૂર્વે કોર કમિટી દ્વારા લગ્નપ્રસંગમાં 400 લોકોને બદલે 150 લોકોને છૂટ આપવા નિર્ણય લેવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. જો કે, રાજકીય અને ધાર્મિક પ્રસંગોમાં 400 લોકોને છૂટ અપાઈ છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કોરોનાની સ્થિતિનું મૂલ્યાંકન કરી કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર, રાજ્યમાં 8 મહાનગરમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની સમયમર્યાદા આગામી 31 જુલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે, એટલે કે આ 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે એ 31 જુલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના સંદર્ભે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જે અન્વયે  COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે. જેમાં મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.

ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા એની હોમડિલિવરી સેવા, શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્સ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને એ વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ અને અનાજ તથા મસાલા દળવાની ઘંટી.ઘરગથ્થુ ટિફિન સર્વિસીઝ અને હોટલ / રેસ્ટોરાંમાંથી Take away facility આપતી સેવાઓ, ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક્સ મીડિયા, ન્યૂઝપેપર ડિસ્ટ્રિબ્યુશન, પેટ્રોલ, ડીઝલ, LPG./CNG./PNGને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ.પોસ્ટ અને કુરિયર સર્વિસ.ખાનગી સિક્યોરિટી સેવાપશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓનો સમાવેશ છે.

આ ઉપરાંત તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરા પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે એ અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.

નવી માર્ગદર્શિકામાં પણ તમામ લોકોએ ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્‍સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.સંબંધિત પોલીસ કમિશનરો/જિલ્લા મેજિસ્ટ્રેટોએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C.તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવા આદેશ જારી કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.