Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 13 વર્ષથી કોલ સેન્ટર સેવા ચલાવવામાં આવી રહી છે. જેમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તે હલ થાય કે ન થાય ફરિયાદીને ગણતરીની કલાકોમાં જ ફરિયાદ હલ થઈ ગયાના મેસેજ મોકલી દેવામાં આવે છે. આ પદ્ધતિ હવે સદંતર બંધ થઈ જશે. મહાપાલિકાની પીન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નંબર નં.1800-123-1973નો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે તેવી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઈ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે,  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીનાં વરદહસ્તે કાલે સવારના 11:30 કલાકે સેન્ટ્રલ ઝોન ઓફીસ ખાતેથી રાજકોટ મહાનગરપાલિકાની પીન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નંબર 1800-123-1973નો શુભારંભ કરવામાં આવશે.

મહાપાલિકા દ્વારા વર્ષ 2008માં 24 કલાક કોલ સેન્ટરના નં. 0281-2450077 પર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ અંગેની લોકોની ફરિયાદ નોંધણીની શરૂઆત કરવામાં આવી. સને 2010થી મહાનગરપાલિકાની વેબસાઈટ પર તેમજ સને 2016થી મહાનગરપાલિકાની મોબાઈલ એપ્લીકેશન પરથી પણ ફરિયાદ નોંધણી શરૂ કરવામાં આવી. હાલમાં બાંધકામ, વોટરવર્કસ, સો.વે.મે., રોશની, ડ્રેનેજ સહિતનાં 30થી વધારે વિભાગોની અંદાજે 100 કરતા વધુ પ્રકારની વાર્ષિક 2 લાખ થી વધારે ફરિયાદો કોલ સેન્ટર પર નોંધી , સંબંધિત વિભાગોને આગળની કાર્યવાહી અર્થે મોકલવામાં આવે છે.

આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગ વડે લોકોની ફરિયાદનુ નિરાકરણ ઝ્ડપથી અને વધારે સારી રીતે કરી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા સમય સાથે તાલ મિલાવવા કટિબદ્ધ છે. આ પ્રયાનાં ભાગ રૂપે ટોલ-ફ્રી નંબર 1800-123-1973 નો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

લોકોની ફરિયાદોનો સમયસર તેમજ સચોટ નિકાલ થાય તેમજ ખરેખર ફરિયાદ નિકાલ થયા અંગેની ખરા અર્થમાં જાણ લોકોને પણ મળે તે માટે પીન આધારીત ફરિયાદ નિવારણ પધ્ધતિનો શુભારંભ કરવામાં આવી રહયો છે. આ પદ્ધતિમાં જ્યારે લોકો ની ફરિયાદનું મહાનગરપાલિકા દ્વારા નિવારણ કરવામાં આવશે ત્યારે ફરિયાદીને એક એસએમએસ દ્વારા પીન નંબર મોકલવામાં આવશે. આ પીન નંબર ફરિયાદીને પોતાની ફરિયાદનો નિકાલ થયા બાદ મહાનગરપાલિકાનાં કાર્મચારી/અધિકારીશ્રીને આપવાનો રહેશે જે પીન નંબર સંબધિત અધિકારી પોતાના મોબાઈલમાં દાખલ કરશે, ત્યારબાદ જ ફરિયાદ નો ખરા અર્થમાં નિકાલ થયો ગણાશે. આ સમગ્ર પ્રકિયા અમલમાં આવતા, લોકોનો રાજકોટ મહાનગરપાલિકા પરનો વિશ્વાસ વધારે સુદ્રઢ બનશે.

 

કોલ સેન્ટર પરની ફરિયાદ નિવારણ પધ્ધતિનાં મુખ્ય અંશો

 

– દરેક ફરિયાદનાં ઉકેલ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

– જો નિયતસમય મર્યાદામાં ફરિયાદનો ઉકેલ ન કરવામાં આવે તો ફરિયાદ આપો આપ ઉપરના અધિકારી સુધી એસ્કેટ થશે.

– ફરિયાદની નોધની સમયે ફરિયાદીને તેની ફરિયાદ નોધાઈ ગયેલ છે તેની એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે.

– ફરિયાદનાં નિવારણ થયે ફરિયાદીને તેની ફરિયાદનું નિવારણ થયેલ છે તેની પણ એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે.

– ફરિયાદ નિકાલની ગુણવતા અંગે ફરિયાદીનું ફીડબેક લેવામાં આવશે તેમજ ફરિયાદીનાં ફીડબેકનું એનાલીસીસ કરવામાં આવશે.

– મહાનગરપાલિકાનાં કાર્મચારી/અધિકારીશ્રીઓ માટે એક આધુનિક મોબાઈલ એપ બનાવવામાં આવેલ છે જેનાં પરથી કાર્મચારી/અધિકારીઓ પોતાના તાબા હેઠળનાં વિસ્તારમાં નોધાતી દરેક ફરિયાદનું મોનીટરીંગ તેમજ નિરાકરણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.