Abtak Media Google News

કોરોનાને કળ વળતાં કડક નિયમોમાં તબક્કાવાર સરકાર દ્વારા છૂટ આપવામાં આવી રહી છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. જે અનુસાર હવે રાત્રિના 11 વાગ્યા સુધી લટાર મારી શકાશે.

એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈથી રાત્રિના 11વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ ઉપરાંત તમામ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી છે.

સરકારે જારી કરેલા નવા નિયમો અનુસાર જો આવા કાર્યક્રમોનું બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. જો કે આ દરમિયાન કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવા ના રહેશે. સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવાની મંજૂરી આપવાનો પણ નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.