Abtak Media Google News

આરજેડી, કોંગ્રેસ સહિતના વિપક્ષો એનઆરસી મુદે બિહારનું રાજકીય વાતાવરણ ડહોળે નહી તે માટે મુખ્યમંત્રી નિતિશકુમારનો માસ્ટર સ્ટ્રેક

આસામમાં ગેરકાયદેસર ઘુસી ગયેલા બાંગ્લાદેશી ઘુસણખોરોને હાંકી કાઢવા કેન્દ્રની મોદી સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સીટીઝન (એનઆરસી)નો અમલ કર્યો છે. જેના દ્વારા લાખો ઘુસણખોરોને ઓળખી પણ કાઢવામાં આવ્યા છે. એનઆરસીનો અમલ દેશભરમાં થાય તો દેશમાં વસતા ગેરકાયદેસર ઘુસણખોરોને ઓળખી કાઢીને તેમના દેશમાં પરત મોકલી શકાય તેમ છે. પરંતુ આમ કરવા જતા અમુક રાજકીય પાર્ટી પોતાની વોટબેંક તુટી જવાનો ભય હોય આ મુદે ધાર્મિક લઘુમતી એવા મુસ્લિમોને ભ્રમિત કરી રહ્યા છે. જેથી દેશભરનાં અનેક મુસ્લિમ સંગઠનો દ્વારા એનઆરસીનો આંધળો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જયાં ૨૦ ટકાના મુસ્લિમ મતદારો એવા બિહાર રાજયમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનારી છે. ત્યારે આ વોટબેંક તુટી ન જાય તે માટે વિપક્ષે રજૂ કરેલા એનઆરસી વિરોધ ખરડાને સતામાં ભાગીદાર ભાજપના વિરોધ વચ્ચે શાસક પક્ષે ટેકો આપતા આ ખરડો બહુમતીથી પસાર થયો છે.

કેન્દ્રના એનડીએ મોરચામાં ભાગીદાર એવા જે.ડી.યુ.નાં સુપ્રિમો નિતિશકુમાર બિહારના મુખ્યમંત્રી છે. બિહારમાં જેડીયુ ભાજપના ટેકાથી સરકાર ચલાવી રહ્યું છે. એનઆરસીનો વિરોધ કરતો આ ખરડો વિધાનસભામાં પસાર થતા આવો ખરડો પસાર કરના‚ એનડીએ શાસીક પ્રથમ રાજય બની જવા પામ્યું છે. બિહારમાં શાસક પક્ષ જેડીયુની મુસ્લિમ મતદારોની મોટી વોટબેંક છે આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં એનઆરસી મુદે આ મુસ્લિમ વોટબેંકને વિપક્ષ આરજેડી ખેંચી ન જાય તે માટે નિતિશકુમારે વિપક્ષી ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલા આ એનઅરસી વિરોધી ખરડાનો વિરોધ કરવાનું યોગ્ય માન્યું નહતુ દરમ્યાન સત્તામાં સાથી પક્ષ જેડીયુના આ મુદે વિચિત્ર વલણથી નારાજ ભાજપના ધારાસભ્યોએ આ ચર્ચા દરમ્યાન વોકઆઉટ કર્યું હતુ જે બાદ, આ એનઆરસી વિરોધી ખરડાને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

બિહાર વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસ મંગળવારે સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ જોરદાર હોબાળો કર્યો હતો. વિધાનસભાની કાર્યવાહી શરૂ થવાની સાથે જ વિપક્ષના નેતા તેજસ્વી યાદવે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(એનપીઆર) અંગે મુખ્યપ્રધાન નીતીશકુમારની ટીકા કરી હતી. ત્યારબાદ બિહાર વિધાનસભામા એનઆરસીની વિરૂદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.આર જેડીના નેતા તેજસ્વી યાદવે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(એનઆરસી) અને એનપીઆરને દેશ તોડનારો કાયદો ગણાવ્યો હતો. તેમના આ નિવેદન પર સત્તા પક્ષના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. ત્યારબાદ મુખ્યપ્રધાન નીતીશકુમારે સંસદમાં આ અંગે વડા પ્રધાન મોદીના  નિવેદન નો હવાલો આપીને જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી એનઆરસી અંગે નિવેદન આપવામાં આવ્યું હોવા છતાં આ મુદ્દો વિપક્ષો વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે. નિતિન કુમારે વધુમાં જણાવ્યું છે કે તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખી એનપીઆરની કેટલીક વિવાદાસ્પદ વિગતો દૂર કરવાની માંગ કરી છે. આ પત્રમા માગ કરી છે કે એનપીઆરનું સ્વરૂપ ૨૦૧૦ જેવું જ રાખવામાં આવે.  ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભામાં એનપીઆર અને એનઆરસી જેવા મુદ્દાઓ પર સોમવારથી હોબાળો થઇ રહ્યો છે.

ઉપરાંત બિહાર વિધાનસભાએ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર ૨૦૧૦ માં ઉલ્લેખિત કોલમ મુજબ એનપીઆર ૨૦૨૦ ફોર્મમાં ટ્રાન્સજેન્ડરના સમાવેશ કરવાની દરખાસ્ત સર્વસંમતિથી પસાર કરી હતી. મંગળવારે રાજ્યમાં એનઆરસી વિરુદ્ધ ઠરાવ પણ સર્વાનુમતે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. બિહાર વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમાર ચૌધરીએ આ અંગે કહ્યું હતું. કે ગૃહની પ્રથમ બેઠકમાં મુલતવી પ્રસ્તાવ (એનપીઆર સંબંધિત) અંગેની ચર્ચા દરમિયાન, તમામ સભ્યોનો અભિપ્રાય બહાર આવ્યો કે એનપીઆર અને એનઆરસી સંબંધિત સર્વસંમત ઠરાવ ગૃહ દ્વારા પસાર થવો જોઈએ.

મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી અને વિપક્ષી નેતા તેજસ્વી પ્રસાદની હાજરીમાં તેમણે કહ્યું કે, હું તમારી સામે તે જ દિશામાં એક પ્રસ્તાવ વાંચું છું, જેના પર તમારે બધાએ સંમત થવાની જ‚ર છે. રાજ્યમાં વર્તમાન રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર ૨૦૨૦ ની ક્રિયાને લગતા સૂચિત ફોર્મમાં તે ટ્રાન્સજેન્ડર્સનો સમાવેશ કરવામાં આવશે અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર ૨૦૧૦ ના સ્તંભના આધારે પ્રાપ્ત માહિતીના આધારે, એનપીઆર થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે બિહારમાં એનઆરસીની કોઈ જરૂર નથી. જ્યારે બિહાર વિધાનસભાના અધ્યક્ષે ગૃહના સભ્યોને પૂછ્યું કે ગૃહના બધા સભ્યોમાં જે સહમતિ છે, ત્યારે ભાજપના ધારાસભ્યોએ વોકઆન્ટ કર્યોે હતો તે બાદ સ્પીકરે આ ઠરાવને સર્વાનુમતે પસાર કરવાની જાહેરાત કરી હતી.

આ અંગે બિહાર રાજય ભાજપના ઉપપ્રમુખ અને બૈકુઠપુરનાં ધારાસભ્ય મિથિલેશ તિવારીએ જણાવ્યું હતુકે વડાપ્રધાન મોદીએ સંસદમાં સ્પષ્ટતા કરી છે કે દેશભરમાં એનઆરસી લાગુ પાડવાની તેમની કોઈ યોજના નથી. જેથી એનઆરસી મુદે આ વિરોધી ખરડો પસાર કરવો તે આવકને જન્મ આપ્યા પહેલા તેના મુંડન કરવાની ઉજવણી સમાન છે. વિપક્ષ નેતા તેજસ્વી યાદવે યાદ રાખવું જોઈએ કે ભાજપે તેના સિધ્ધાંતો સાથે કદી બાંધછોડ કરી નથી આ એજ પાર્ટી છે જેને પાકિસ્તાનને ઘૂટણીયે ભેર કરી દીધું છે. રાજકીય પંડીતોના જણાવ્યામુજબ નિતિશકુમારે એન્ટી એનઆરસી ખરડો પસાર થવા દઈને સીપીઆઈના યુવા નેતા કનૈયાકુમાર દ્વારા એનઆરસીનો વિરોધ કરવા કાઢવામાં આવનારી વિરોધ યાત્રાની હવા કાઢી નાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.