Abtak Media Google News

પરિવાર, બાળકોની ચિંતા કર્યા વગર કરે છે કોરોનાના દર્દીઓની સેવા, સુશ્રુષા

કોરોનાથી સંક્રમિત થયા પણ સિવિલ હોસ્પિટલની નર્સિંગ બહેનોએ દર્દીઓની અવિરત સેવા ચાલુ રાખી છે. નર્સિંગ બહેનોએ પોતાના પરિવાર અને બાળકોની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા સુશ્રુષા કરી રહ્યા છે. રાજકોટની પી.ડી.યુ. સિવિલ કોવીડ હોસ્પિટલમાં ૫૦૦થી વધું નર્સિંગ કર્મીઓ મહિનાઓથી અવિરત સેવા આપી રહ્યા છે.  કોરોનાની મહામારીમાં જે રીતે તબીબો કોરોના વોરીયર્સ બની દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેવી જ રીતે આ સારવાર-સેવામાં જેની ભુમિકા અગત્યની છે તેવા નર્સિંગ સ્ટાફના કર્મીઓ પણ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર બની પરિવારની પરવા કર્યા વગર કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે.

કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, હોસ્પિટલ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફે દિવસ-રાત કામ કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં સાચા અર્થમાં કર્મયોગ ચરિતાર્થ કર્યો છે. રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની બહેનો કોરોનાથી સંક્રમિત થાય તો  સારવાર મેળવીને અથવા તો હોમ આઇસોલેટેડ થઈને ફરી સ્વસ્થ થઈ સારવારમાં લાગી જાય છે. આવી છે સંવેદનશીલ સરકારના સંવેદના સભર કર્મયોગીઓની સંવેદના. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૧૪ વર્ષથી સેવા આપતા  નર્સ બહેન અર્ચના ગોસાઇએ જણાવ્યું હતું કે તેઓનો તા.૩ સપ્ટેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં  ૧૪ દિવસ સુધી  આઈસોલેટેડ માં રહી  સારવાર મેળવી સાજા થઇ  ફરી સેવામાં લાગી ગયા હતા.

તેઓએ જણાવ્યું હતું કે તેમની સેવા કોવિડ હોસ્પિટલમાં હોવાથી ઘરે વિશેષ તકેદારી રાખવી પડે છે. તેમની ડયુટી રોટેશન મુજબ હોય છે અને જ્યારે તેઓ સેવા કરીને ઘરે જાય છે ત્યારે બાળકોને ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખે છે .સિવિલ હોસ્પિટલ ની સેવા તેમના માટે મુખ્ય છે અને તેઓએ પણ લોકોને જાગૃત રહી સાવચેતી રાખવા  અપીલ કરી હતી.

આવા જ બીજા એક સેવાભાવી  ધર્મિષ્ઠાબેન ભલગામાએ  કહ્યું હતું કે તેઓ આઇ હોસ્પિટલમાં સેવા આપે છે અને રોટેશન મુજબ તેમને સિવિલ હોસ્પિટલમાં સેવા કરવાની હોય છે. તેમનું પાંચમું રોટેશન ચાલતું હતું ત્યારે તેઓ પણ દર્દીઓની સારવાર કરતી વખતે કોરોનાથી સંક્રમિત થયા હતા  તેમને દસ વર્ષનો પુત્ર છે તેમને સંક્રમણ ન લાગે તે માટે સગા સંબંધીને ત્યાં  મૂકીને  તેઓએ સારવાર મેળવી હતી અને જ્યારે પણ સિવિલ હોસ્પિટલમાંથી સેવા કરીને ઘરે પરત ફરે ત્યારે પરિવારજનોને કોઈ તકલીફ ન પડે તે માટે કાળજી રાખે છે. ધર્મિષ્ઠાબેને રાજકોટ શહેર જિલ્લાના લોકોને સતત માસ્ક પહેરવા અને કોરોનાથી  બચવા માટે સરકારની માર્ગદર્શિકા નું પાલન કરવા અને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.