Abtak Media Google News

ચાતુર્માસ પાખી સાધુ તો વિચરતા ભલા

તીથઁકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષે જૈનોના પૂ.સાધુ – સાધ્વીજીઓ ચાર મહિના અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી એક જ સ્થાનકે સ્થિરતા કરી સ્વયંની સાધના કરતાં હોય છે અને હળુ કર્મી આત્માઓને પણ આત્મ સાધનામાં જોડતાં હોય છે.

કારતક વદ એકમ આવે એટલે પ્રભુની આજ્ઞા મુજબ જીવોની ઉત્પતિ ઓછી થઈ ગઇ હોય એટલે સાધુ ગ્રામાનુગ્રામ વિચરણ કરે.

પ્રભુ મહાવીર ઉત્તરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનમાં કહે છે કે ..

ચરિયા પરિસહે..

વિહારએ પરિસહ છે.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે સોમવારે 7/11/2022ના સ્થા.જૈનોની ચૌમાસી પાખી છે.

રાજકોટ જૈન તપ ગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઈ દેસાઈએ જણાવ્યું કે મૂર્તિપૂજક સમુદાયનાં પૂ.સાધુ – સાધ્વીજીઓ મંગળવારથી એક સ્થાનેથી અન્ય સ્થાનકે વિહાર કરશે.

જૈન શાસ્ત્રોમાં સાધુ માટે નવ કલ્પી તથા સાધ્વીજીઓ માટે પાંચ કલ્પનો ઉલ્લેખ આવે છે. વર્ષાકાળ સિવાય સાધુ – મુનિરાજો એક જ સ્થાનકે 29 દિવસ અને સાધ્વીજીઓ 59 દિવસ શેષ કાળ રહી શકે છે.

જેવી રીતે સરકારી ખાતાઓમાં અમુક પોસ્ટ એવી હોય છે જેમ કે કલેક્ટર, કમિશનર, ન્યાયધીશ વગેરેને સરકાર લાંબા સમય સુધી એક જ સ્થાન પર રહેવા દેતાં નથી પરંતુ તેઓની અન્ય સ્થાને બદલી થતી રહેતી હોય છે ,તેવી જ રીતે અનંતજ્ઞાની ભગવંતોએ પણ અપાર કરૂણા કરી કલ્પ અનુસાર જીવન જીવવાની આજ્ઞા ફરમાવેલ છે કે સાધુ-સંતો પણ રાગ ભાવ કે મોહપાશમાં ફસાઈ નહીં.એક જ સ્થાનકે ચાર માસથી વધારે ગાઢાગાઢ કારણ સિવાય સ્થિરતા કરવાથી ભાવિકોના ભક્તિ ભાવમાં પણ કયારેક ઓટ આવી જાય છે. સાધુ – સંતો પણ પ્રભુની આજ્ઞાનું ઊલ્લંઘન કરી ખાન-પાનમાં આસકત બની જાય તો તેઓના આત્મા માટે પણ નુકસાનકારક છે.આ માટે કંડરીકમુનિ અને શૈલેક રાજેર્ષી મુનિનાં દ્રષ્ટાંતો ગ્રંથોમાં સુપ્રચલિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.