અડાજણ વિસ્તારમાં શ્રેણીક પાર્ક જૈન સંઘમાં આચાર્ય મહારાજની હાજરીમાં યોજાઈ દીક્ષા
દીક્ષા નગરીની ઓળખ પામેલા સુરતમાં 13 વર્ષિય કિશોરીની દીક્ષા યોજાઈ હતી. અડાજણના શ્રેણીક પાર્ક જૈન સંઘમાં ડાયમંડ વેપારીની દીકરી વૈશ્વિએ દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા બાદ વૈશ્વિને વિનમિવર્ધનાશ્રીજી મહારાજ સાહેબ નામ આપવામાં આવ્યું હતું. સુખ સાહ્યબી વાળું જીવન છોડીને વૈશ્વિએ સંયમના માર્ગે પ્રયાણ કરતાં પરિવાર સહિત સૌ કોઈએ હર્ષની લાગણી અનુભવી હતી.
અડાજણ વિસ્તારમાં રહેલા ડાયમંડ વેપારી હિતેષભાઈ મહેતાની માત્ર 13 વર્ષની સુપુત્રી ઘર-બાર છોડીને ભગવાનના બતાવેલા પંથ પર જવાનો નિર્ણય કર્યો છે જેના નિર્ણયને તેના સમાજના તમામ લોકોએ પણ વધાવ્યો હતો. હિતેષભાઈ અને તેમની પત્નિ પાયલબેન મહેતાને સંતાનમાં માત્ર બે પુત્રી જ છે. જે વૈશ્વિએ 13 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. સંયમના માર્ગે જતી વૈશ્વીને ગચ્છાધિપતિ અભયદેવસૂરી આચાર્ય સહિત બે ગચ્છાધિપતિ અને નવ આચાર્યની હાજરી સહિત 200થી વધુ સાધુ સાધ્વીની હાજરીમાં દીક્ષાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. વૈશ્વિએ દીક્ષા ગ્રહણ કરતાં વિનમિવર્ધનાશ્રીજી મહારાજ સાહેબ નામ આપવામાં આવ્યું હતું.
આત્માની શાંતિ માટે દીક્ષા લીધીઃ વૈશ્વિ
વૈશ્વિ મહેતાએ જણાવ્યું હતુ કે, સંસારની મોહ-માયા માત્ર ક્ષણભંગુર છે. જેથી હું મારા આત્માની શાંતિ માટે ભગવાનના ચિંધેલા માગ્ર પર જઈ રહી છું. વૈશ્વી મહેતા સાથે 21 વર્ષિય સુરભીની પણ દીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. દીક્ષા વખતે મોટી સંખ્યામાં હાજર રહેલા શ્રાવકોએ દીક્ષાર્થી અમર રહોના નારા લગાવ્યાં હતાં