Abtak Media Google News

સુરક્ષા દળોએ ૩૧ જુલાઈ સુધીમાં ૧૫૦ આતંકીઓનો ખાતમો બોલાવ્યાનો જમ્મુ-કાશ્મીર પોલીસ વડા દીલબાગસીંગનો દાવો

ધરતી પરનું સ્વર્ગ ગણાતું કાશ્મીર તત્કાલીન સરકારોની અવિચારી નીતિના કારણે આતંકી પ્રવૃતિઓ માટે સ્વર્ગ સમાન બની જવા પામ્યું હતુ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજયનો દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦નો લાભ લઈને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી તત્વોએ દાયકાઓ સુધી કાશ્મીર ખીણમાં આતંક મચાવ્યો હતો. કેન્દ્રની મોદી સરકારે ગત વર્ષની પાંચમી ઓગષ્ટે બંધારણની કલમ ૩૭૦ને રદ કરીને જમ્મુ કાશ્મીરને અપાતો વિશેષ દરજજો રદ કર્યો હતો. જે બાદ ખીણમાં રહેલા આતંકવાદી તત્વો સામે સુરક્ષાદળોને છૂટોદોર આપવામાં આવ્યો હતો. જેના કારણે એક વર્ષમાં અડધો અડધ આતંકીઓનો ખાતમો બોલી જવા પામ્યો છે. અને હવે ૨૦૦ જેટલા આતંકીઓ બચવા પામ્યા છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દીલબાગસીંગે આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે એક સમયે કાશ્મીર ખીણમાં હંમેશા ૩૫૦થી ૪૦૦ જેટલા આતંકવાદી તત્વો સક્રિય રહેતા હતા. પરંતુ સુરક્ષાદળોએ આતંકવાદી તત્વોને ડામી દેવા કડક હાથે કામ લઈને સમગ્ર ખીણ વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતુ જેના કારણે ૩૧ જુલાઈ સુધીમાં ૧૨૦ સ્થાનિક અને ૩૦ વિદેશી આતંકીઓને સુરક્ષાદળો દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. ૮૦ સ્થાનિક આતંકવાદીઓ આ વર્ષે ઓળખવામાં આવ્યા છે. જેમાના ૩૮ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જયારે ૨૨ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જયારે ૨૦ સ્થાનિક આતંકીઓ હજુ પણ ખીણ વિસ્તારમાં છુપાયેલા છે.

વર્ષ ૨૦૧૯ની પોલીસ અને સુરક્ષા દળોનું મુખ્ય ધ્યાન આતંકવાદીઓને મદદ આપતા માળખાને ખતમ કરવા પર છે. જેના ભાગ રૂપે ટોચના હુર્રિયત નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેનાથી અલગાવવાદીઓમાં નેતૃત્વનો શૂન્યાવકાશ ઉભો થતા આવા તત્વો દીશાવિહીન બન્યા છે. સેંકડો પથ્થરબાજોને ઝડપી લઈને તેમને છોડતા પહેલા ફરીથી આવું કૃત્યનહી કરે તેના જામીન લેવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા હવે કાશ્મીર ખીણમાં આતંક પ્રવૃત્તિઓ કરવા માટે હથીયારો ડ્રોન અને વાયા પંજાબના માર્ગે ટ્રક દ્વારા મોકલવામાં આવી રહ્યાના ષડયંત્રનો પર પર્દાફાશ કરવામાં આવ્યાનું દિલબાગ સીંગે અંતમાં ઉમેર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.