Abtak Media Google News

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ કોરોનાની મહામારીના સમયગાળા  દરમિયાન જે બાળકોના માતા – પિતાનું અવસાન થયેલ હોય તેવા બાળકો પ્રત્યે સંવેદના દર્શાવી તેમને સહાય કરવા  મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવી છે. ત્યારે કોવીડના આ સમય દરમિયાન અનાથ બનેલા બાળકો આપણા જ બાળકો છે, એ સંવેદના સાથે પ્રત્યેક અધિકારીઓએ અનાથ બનેલા બાળકોના ગાર્ડીયન બની તેમને સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવા રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આજે યોજાયેલ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સમિક્ષા બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતુ. કલેકટરે સબંધિત વિભાગના અધિકારીઓને અનાથ બનેલા બાળકોના આરોગ્યની ચિંતા કરી તેમને સત્વરે અમૃતમ કાર્ડ આપવા તેમજ આવા બાળકોની સમયાંતરે આરોગ્ય ચકાસણી કરવા, આરટીઈ અંતર્ગત તેમને સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય તે મુજબની કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતુ.

તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વીક મહામારીના સમય દરમિયાન રાજયમાં માતા – પિતાના અવસાનથી અનાથ બનેલા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમની સાથે લોન અને સહાય આપી તેમને હૂંફ પૂરી પાડવા રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવવામાં આવી છે. ત્યારે સબંધિત વિભાગના અધિકારીઓએ તેમના વિભાગ હસ્તકની યોજનાનો લાભ લાભાર્થી તમામ બાળકોને મળી રહે તે માટેના કાર્યના વાહક બની સાચા અર્થમાં અનાથ બાળકોના પાલક બનવું પડશે

યોજના અંતર્ગત સબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને કોરોનાના સમયમાં માતા – પિતા બન્ને ગુમાવનાર 0 થી 18 વર્ષની વયના બાળકોની કુલ 70 અરજી મળી છે. જ્યારે કોરોનાના સમય પહેલા એક વાલી (માતા કે પિતા) અવસાન પામ્યા હોય અને બીજા વાલી (માતા કે પિતા)નું કોરોનાના સમયમાં અવસાન થયું હોય તેવા 0 થી 18 વર્ષની વયના 370 બાળકો મળી કુલ 440 બાળકોની અરજી પ્રાપ્ત થઈ છે.

આ અનાથ બાળકો પૈકી 44 બાળકોને આરટીઈ અંતર્ગત કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. અને તેઓની અરજી પણ ઓનલાઈન કરી આપવામાં આવી છે. આ બાળકો પૈકી પાંચ બાળકીઓને સુક્ધયા સમૃધ્ધિ યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવી દિકરીઓના ખાતામાં દાતાઓના સહયોગથી 10,000 રૂપિયા જમા કરાવવામાં પણ આવ્યા છે. આ ઉપરાંત પાંચ બાળકોને પાલક માતા – પિતા યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, અધિક કલેક્ટર આર.એફ.ચૌધરી, ડી.આર.ડી.એ. ડાયરેકટર જે.કે.પટેલ, પ્રાંત અધિકારીઓ સિધ્ધાર્થ ગઢવી, ચરણસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી પુજા બાવળા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, મદદનીશ શ્રમ આયુકત એ કે, શિરોય સહિતના સબંધિત અમલીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.