Abtak Media Google News

કોરોનાની મહામારીએ પ્રકૃતિ દ્વારા મળતા પ્રાણવાયુ એવા ઓક્સીજનની કિંમત મનુષ્ય જાતને ભાન કરાવ્યું છે. કોરોનાના દર્દીઓને શરીરમાં ઓક્સીજનની કમીના લીધે કૃત્રિમ રીતે ઓક્સીજન પૂરો પાડવામાં આવી રહ્યો છે ત્યારે આ આફતને અવસરમાં ફેરવવા માટે મોરબી જિલ્લાના ટંકારાના બંગાવડીના ગ્રામજનોએ ભવિષ્યની પેઢીને પણ યાદ રહી જાય તેવા ઓક્સીજન પાર્કના નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં ઓક્સિજન માટે એક બાટલાની કિંમતથી આપણે પરિચિત થઈ ગયા છીએ. ત્યારે વ્યક્તિ દિવસમાં જેટલું ઓક્સીજન ગ્રહણ કરે છે તેટલા પ્રમાણમાં ઓક્સીજનરૂપી પ્રાણવાયુ આપતા વૃક્ષોનું ઉછેર તેમજ માવજત કરવા તેમજ કોરોના જેવી આફતને અવસરમાં પલટી ભવિષ્યની પેઢીને પણ યાદ રહી જાય તેવું કાર્ય કરવાનો સંકલ્પ ટંકારાના બંગાવડી ગામના યુવાનોએ લીધો છે.બંગાવડી ગામના સરપંચ જીજ્ઞેશભાઇ દેત્રોજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગ્રામજનોએ સાથે મળીને ગામમાં 20 વીઘા જેટલી જમીનમાં અંદાજે 1500 થી 2000 જેટલા વૃક્ષો વાવવાનું આયોજન કરેલ છે. આ કાર્યમાં 35 થી વધુ કાર્યકર્તાઓ સ્વૈચ્છીક રીતે જોડાશે.

વધુમાં સરપંચ જીજ્ઞેશભાઇ દેત્રોજાએ એમ જણાવ્યું હતું કે, આપણે જેટલું ઓક્સિજન લઈએ છીએ તેટલા પ્રમાણમાં વૃક્ષ તો ચોક્કસ ઉછેરવા જોઇએ જેથી ગામમાં 20 વીઘા જમીનમાં પૂજ્ય હેમગીરીબાપુ ઓક્સિજન પાર્ક વિકસાવવાનું નક્કી કર્યું છે. આ પુણ્ય કાર્યને અહીંના સ્થાનિક આગેવાન અને ઉદ્યોગપતિએ આર્થિક સહયોગ આપી પૂજ્ય હેમગીરીબાપુનું ઋણ ચૂકવવા અને ગ્રામજનોને સહયોગી થઇ નમૂનારૂપ કાર્ય કરવામાં આગળ આવ્યા છે.બંગાવડી ગામના સ્થાનિક રહીશો પ્રફુલભાઈ દેત્રોજા, ઠારકશીભાઇ દેત્રોજા રણછોડભાઈ મેંદપરા, તેમજ અન્ય સેવાભાવી યુવાનો અને ગ્રામજનો દ્વારા ગામમાં વ્યક્તિ એટલા વૃક્ષ વાવવા અને ઉછેરવા નક્કી કરી અને ગામની અંદર ઓક્સિજન પાર્ક બનાવવાનો સંકલ્પ કરતા ઉદાહરણરૂપ કાર્યથી અનેકને પ્રેરણા મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.