Abtak Media Google News

વિજયભાઇ મેયર અને મંત્રી હતા ત્યારે પણ રાજકોટની જળ સમસ્યાના નિવારણ માટે પ્રયત્નશીલ હતા, હવે મુખ્યમંત્રી છે ત્યારે સતત કરી રહ્યાં છે રાજકોટના જળસંકટની ચિંતા અને લાવ્યા છે કાયમી ઉકેલ

રાજકોટમાં ભાજપના શાસનમાં ખોખડદડી, લાલપરી, આજી, ભાદર, નર્મદા સહિતની યોજનાઓ બની

સૌની યોજનાને લીધે ઉનાળામાં પણ રાજકોટના ડેમો છલોછલ ભરેલા રહે છે

બહેનો, દીકરીઓ, ગૃહિણીઓએ કલાકો સુધી બેડાં લઇને લાઇનમાં ઊભવું પડતું, બેડાં યુદ્ધ હવે ભુલાયાં. નપાણિયું કહેવાતું રાજકોટ બન્યું પાણીદાર

આજથી થોડા વર્ષો પહેલાં રાજકોટ જે લોકો આવ્યા હોય એમને ખબર હશે ફેબ્રુઆરી-માર્ચ માસ આવ્યો નથી અને અહીં પાણીની તંગી શરુ થઇ નથી. બેડાં લઇને લાઇનમાં ઉભતી બહેનો, પાણીના ટેન્કર અને છકડાના રસ્તા પર આંટાફેરા. સ્ટેન્ડ પોસ્ટ પર કલાકો સુધી ઊભા રહેલા માણસને એકાદ બે ડોલ પાણી મળે. લોકો કહેતા કે રાજકોટમાં કોઇના ઘરે મહેમાન ન થવાય. જમવા તો મળે પણ પાણીનું શું, રાજકોટમાં દીકરી દેતાં ય કોઇ વિચાર કરે એવી લોકોક્તિ હતી. ભારતીય જનતા પાર્ટીના શાસકોએ રાજકોટની જળસમસ્યાના ઉકેલ માટે સતત પ્રયાસ કર્યા. વર્ષોથી રાજકોટના લોકોની પાણીની તંગી દૂર કરવા માટે પ્રયત્નો થયાં. હવે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી પાણીની તંગી અહીં ભૂતકાળ બની છે. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. એનું કારણ છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરુ કરાવેલી અને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ અંગત રસ લઇને ઝડપથી ચાલુ કરાવેલી સૌની યોજના.

વરસાદ પડ્યો હોય કે ન પડ્યો હોય સૌરાષ્ટ્રના ગામોમાં અને રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા ઊનાળાની શરુઆતથી શરુ થઇ જતી. ક્યાંક એકાંતરા તો ક્યાંક બે દિવસે પીવાના પાણીનું વિતરણ થતું. રાજકોટમાં પણ પ્રાઇવેટ ટેન્કર્સ અને છકડો દ્વારા પાણી વિતરણ થતું. બિલ્ડીંગ ક્ધસટ્રક્શન કે અન્ય ઉદ્યોગો પર રીતસર એની અસર પડતી. જળસંકટના સમયમાં સ્વૈચ્છિક સંસ્થાઓએ દોડાદોડી કરવી પડતી. ઊનાળામાં આજી-૧, ન્યારી-૧, ભાદર સહિતના ડેમો ખાલી થઇ જતા ત્યાં છોકરાઓ ક્રિકેટ રમતા હોય એવા પણ દ્રષ્યો હતા.૨૦૧૨માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્ર નર્મદા અવરણ ઇરિગેશન – સૌની યોજનાની જાહેરાત કરીને જાહેર કર્યું કે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવશે. શરુઆતમાં તો એવો પ્રશ્ન થયો હતો કે આવું કેવી રીતે શક્ય છે. પરંતુ ચાર જ વર્ષમાં એ શક્ય બન્યું. વર્ષ ૨૦૧૮-૧૯માં  ૨૨ જળાશય, ૩૮ તળાવમાં સૌની યોજના થકી પાણી પહોંચ્યું હતું,  બીજા તબક્કામાં રુ.૧૭૬૫ કરોડની જોગવાઇ સૌરાષ્ટ્રના ૫૭ જળાશય ભરવા માટે કરાઇ હતી. ૧૦ લાખ ૨૨ હજાર ૫૮૯ એકર વિસ્તારને આ યોજનાને લીધે સિંચાઇનો લાભ મળે એવું આયોજન શરુઆતથી જ કરાયું હતું.ચાર લિંકમાં યોજના વિભાજિત છે અને પ્રથમ તબક્કામાં ૧૬ ડેમને એકબીજા સાથે જોડવામાં આવ્યા જેને લીધે ૪ શહેર, ૪૯૦ ગામને પીવાનું પાણી મળ્યું હતું, ત્રીજા તબક્કામાં ૩૫ મોટાં જળાશય અને ૧૦૦ ચેકડેમ ભરવાનું આયોજન છે. તાજેતરમાં જ વિવિધ માધ્યમોની મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રુપાણીએ કહ્યું હતું કે સૌની યોજના સિત્તેર ટકા પૂર્ણ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં ૬૪ ડેમ ભરાઇ ચૂક્યા છે. અને આગામી દિવસોમાં ૧૧૫ ડેમ ભરશું જ. રાજકોટ જિલ્લાનો સૌથી મોટો અને સૌરાષ્ટ્રનો બીજા નંબરનો કહેવાય એવા ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી ઠલવાયુ છે. એ ઉપરાંત ગોંડલના વેરી તળાવ, ન્યારી-૧ જળાશય આજી -૧, સરતાનપર, આજી-૩માં નર્મદાનું પાણી સૌની યોજના થકી પહોંચાડાયું હતું.

આજે ૧૫મી ફેબ્રુઆરી છે, યોગાનુયોગ ૨૦૧૪ની ૧૭મી ફેબ્રુઆરીએ નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં યોજાયેલા એક જળ સંમેલનમાં સૌની યોજનાનું ખાતમૂહુર્ત કર્યું હતું. ૨૦૧૬ની ૩૦મી ઓગસ્ટે સૌની યોજનાના પ્રથમ તબક્કાનું લોકાર્પણ થયું હતું. ચાર વર્ષમાં આવડી મોટી યોજના પૂર્ણ થઇ હતી. ૨૦૧૪માં તો વિજયભાઇ ધારાસભ્ય પણ નહોતા. પરંતુ પછી રાજકોટમાંથી ચૂંટણી લડ્યા, પાણી પુરવઠા વિભાગના મંત્રી બન્યા. રાજકોટની જળ સમસ્યાથી તેઓ સંપૂર્ણ વાકેફ હતા. એમને ખ્યાલ હતો કે લોકોને મુશ્કેલી કેટલી પડે છે. નર્મદા કેનાલના પાણી સૌરાષ્ટ્રમાં અને છેક કચ્છ સુધી પહોંચાડવા માટે તેમણે પ્રતિબદ્ધતા દર્શાવીને પરિશ્રમ કર્યો હતો.

સૌની યોજના પૂર્ણ કરવા માટે ૮૭ નદી, ૧૩ રેલવે લાઇન, ૨૯ સ્ટેટ હાઇ-વે, ૪ નેશનલ હાઇ-વે મળીને કુલ ૧૩૩ ક્રોસિંગ કરવાના હતા. જ્યારે આ યોજના સંપૂર્ણ સાકાર થશે ત્યારે ૭ ભાદર ડેમ, ૪ શેત્રુંજી ડેમ, અને રાજકોટનો આજી-૧ છે એવા ૪૫ ડેમ ભરી શકાય એટલું પાણી સૌરાષ્ટ્રના હિસ્સામાં આવશે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના ડેમો ભરવા માટે ૪ લિંક કેનાલનું નેટવર્ક રચાયું છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાની નદીઓ દ્વારા પાણી અન્ય ડેમમાં પહોંચે છે. પરિણામે નદીઓમાં પાણી વહેવાને લીધે ભૂગર્ભ જળની માત્રા પણ વધી છે.

વિજયભાઇએ રાજકોટની જળ સમસ્યાની સતત ચિંતા કરી છે. ભાજપની સરકારોએ પણ એ જ કર્યું છે. ૧૯૮૦ના દાયકામાં ભાદર ડેમમાંથી રાજકોટ પાણી લાવવા માટે ૬૫ કિલોમીટરની પાઇપલાઇન નંખાઇ હતી. ત્યારબાદ લાપાસરી, ખોખડદડી ડેમની યોજનાઓ અમલી બનાવાઇ. આજી-૩, ન્યારી-૨માંથી પણ રાજકોટને પાણી અપાયું હતું. મહિ પરી એજ યોજનાનો અમલ શરુ થયો. ૧૯૯૯માં જ્યારે કાળમો દુષ્કાળ પડ્યો ત્યારે વાંકાનેર વિસ્તારમાં બોરયોજના કરીને કેશુભાઇ પટેલની સરકારે રાજકોટને પાણી પૂરું પાડ્યું હતું. રાજકોટે વર્ષો સુધી આ સ્થિતિ જોઇ છે. આમ તો સૌરાષ્ટ્ર આખાએ જોઇ છે. અમરેલીમાં પંદર દિવસે પાણી મળતું હોય તો સુરેન્દ્રનગરમાં આઠ-આઠ દિવસે પાણી વિતરણ થયું હોય એવું બન્યું છે. પરંતુ હવે એ દિવસો દૂર થયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના માર્ગદર્શન, દુરંદેશીથી આ સૌની યોજના થકી લોકોની સમસ્યાનો હલ આવ્યો છે. હવે તો નલ સે જલ યોજનાનો અમલ શરુ થયો છે. ૨૦૨૨ સુધીમાં રાજ્યમાં કોઇ ઘર નળ વગર ન રહે એવું આયોજન છે. ઉપરાંત છે ડીસેલીનેશન પ્લાન્ટ શરુ થવા જઇ રહ્યા છે. દરીયાના ખારા પાણીને મીઠું કરીને ઉપયોગમાં લેવાશે. દરરોજ ૩૭ કરોડ લીટર પાણી એ રીતે મીઠું કરાશે. આવું કરનારું પણ ગુજરાત પ્રથમ રાજ્ય છે. હવે જ્યારે ૨૧મીએ મહાનગર પાલિકાઓ ની અને ૨૮મીએ નગર પાલિકા, પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે સ્પષ્ટ છે કે લોકો ભાજપને જ ખોબે ખોબે મત આપશે. કારણ કે સૌરાષ્ટ્રની વર્ષો જુની પાણીની સમસ્યા માટે ભાજપના શાસકોએ જે કામ કર્યું છે એના સાક્ષી સૌરાષ્ટ્રના લોકો પોતે જ છે.

શહેરમાં સ્વયંભૂ કેસરિયો માહોલ: ભાજપને ફરી સત્તાના સૂત્રો સોંપવા પ્રજાનો નિશ્ચય

સાડા ચાર દાયકાની ભાજપની વિકાસયાત્રાને વધુ વેગ આપવા રાજકોટવાસીઓ મક્કમ છે, ભાજપ સાથે અડીખમ છે

રાજકોટ મહાનગરપાલિકાના મતદાન આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સમગ્ર રાજકોટમાં સ્વયંભૂ કેસરિયો માહોલ છવાતો જાય છે. ફરી વાર રાજકોટના વિકાસની ધુરા ભાજપના હાથમાં સોંપવાનો રાજકોટવાસીઓએ નિર્ણય કર્યો છે.  શહેરની વિકાસયાત્રાને વેગ આપવા અને ભાજપના તમામ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા રાજકોટવાસીઓ થનગની રહ્યા છે. રાજકોટની  પ્રજા કાયમ ભાજપની સાથે જ રહી છે. સાડા ચાર દાયકાનો ઈતિહાસ સાક્ષી છે કે રાજકોટ અને ભાજપ કાયમ એક બીજાના પર્યાય બની રહ્યા છે. તેમાં પણ રાજકોટના જ પનોતાપુત્ર વિજયભાઈ રૂપાણી ગુજરાતનાં મુખ્યમંત્રી પદે બિરાજ્યા બાદ રાજકોટ માટે તો મોસાળે મા પીરસે તેવો ઘાટ સર્જાયો છે. ઇન્ટરનેશનલ કક્ષાનંણ એરપોર્ટ હોય કે આધુનિક બસ પોર્ટ, ઉત્તમ કક્ષાની તબીબી સેવા આપતી એઈમ્સની વાત હોય કે નવા રાજકોટની શોભા સમાન અટલ સરોવર રૂપાણીજીનો રાજકોટવાસીઓ પ્રેમ છલકાઇ રહ્યો છે. ગરીબો માટેની આવાસ યોજનાઓથી માંડીને અનેક પ્રકારના આયોજનો સાકાર થવાથી રંગીલુ રાજકોટ ઝડપભેર મેટ્રો સીટી બનવા તરફ જઇ રહ્યું છે.  અને તેની સાબિટી કોર્પોરેશનના પરિણામો થકી મળી જશે તેઓ કોલ તમામ રાજકોટવાસીઓ આપી રહ્યા છે. રાજકોટની બુદ્ધિજીવી જનતા કાયમ વિકાસની વાતને વરેલી છે.  એટલે જ તમામ વોર્ડમાં પ્રચાર-પ્રસાર દરમિયાન ભાજપના સર્વે ઉમેદવારોને ભારે આવકાર સાથે ભાજપ તરફી જ મતદાનની ખાતરી મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.