Abtak Media Google News

વાલ્મીકિ આવાસમાં હત્યા થયેલા પુત્રના વિયોગમાં માતાએ વખ ઘોળ્યું: લોધીકામાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ ઝેર ગટગટાવ્યું

શહેરમાં નવાગામ વિસ્તારમાં અગમ્ય કારણોસર પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો અન્ય બે આપઘાતના પ્રયાસની ઘટનામાં વાલ્મીકિ વસ્માં હત્યા થયેલા પુત્રના વિયોગમાં માતાએ વખ ઘોળ્યું હતું. જ્યારે લોધિકાના પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ ઝેર ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નવાગામમાં છપ્પનિયા ક્વાટરમાં રહેતી નીતાબેન ભુપતભાઈ રાઠોડ નામની 30 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગે ઘટનાની જાણ થતા બી – ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.જે. જોગડા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આપઘાત પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથધરી છે.

તો અન્ય બનાવમાં પણ ભગવતીપરા વિસ્તારમાં સુખસાગર સોસાયટી -5માં રહેતા દીપાબેન પ્રકાશભાઈ બારૈયા નામના 42 વર્ષની મહિલાએ વાલ્મીકિ વાડીમાં આવાસ ક્વાટરમાં રહેતા તેમની બહેનના ઘરે ઉંદર મારવાની દવા પી જતા તાત્કાલિક તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ દીપાબેનના 17 વર્ષીય પુત્ર આયુષ બારૈયાની દોઢેક વર્ષ પહેલાં ચુનારાવાડમાં હત્યા થઈ હતી. ત્યારથી માતા દીપાબેન સતત તેના વિયોગમાં ગુમસુમ રહેતા હતા. ત્યારે ગઇ કાલે દીપાબેન તેમની બહેનના ઘરે વાલ્મીકિ ક્વાટર ગયા ત્યારે તેઓને તેમના પુત્રની યાદ આવતી હોવાથી પોતે ઉંદર મારવાની દવા ગટગટાવી લીધી હતી.

જ્યારે વધુ એક બનાવમાં લોધિકાના સુનિલભાઈ જીથરાભાઈ ભુરીયા નામના 25 વર્ષીય યુવાને પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેણે ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલના બીછાને રહેલા સુનિલે જણાવ્યું હતું કે પોતે મજૂરી કામ કરે છે અને દારૂ પીવાની ટેવ ધરાવે છે. ગઇ કાલે સુનીલના પત્ની માધીએ દારૂ પીવાની ના પાડતા બંને વચ્ચે બબાલ થઈ હતી જે બાબતે યુવાને ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.