Abtak Media Google News

વર્કફોર્સને વિવિધ કુશળતાઓ સાથે સજજ કરવા જહાજ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય વચ્ચે એમ.ઓ.યુ.

દરિયાઇ કિનારા વિસ્તારમાં વસતા સ્ભુદાયોના વિકાસ માટેની પ્રવૃતિઓને વેગ આપવા રૂ.૧૦૦ કરોડનું બજેટની ફાળવણી

દરિયાઈ ક્ષેત્રમાં રોજગારીની પુષ્કળ તકોનો લાભ લેવા અને આ માટે વર્કફોર્સને વિવિધ કુશળતાઓ સાથે સજ્જ કરવા આજે જહાજ મંત્રાલય તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય વચ્ચે (એમઓયુ) થયા હતા. આ સમજૂતી કરાર પર કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ડો. મહેન્દ્રના પાંડે રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયા તથા રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય વીજળી તથા નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રી (સ્વતંત્ર હવાલો)આર કે સિંહની હાજરીમાં હસ્તાક્ષર થયા હતા.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગવિકાસ મંત્રાલયનો આ સમજૂતી કરાર માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,આ ભાગીદારીથી રોજગારીની પુષ્કળ તકો ઊભી થશે અને દરિયાકિનારા વિસ્તારોનાં યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ થશે. તેમણે ઉમેર્યુ હતું કે, આ એમઓયુ જહાજ મંત્રાલય અંતર્ગત સાગરમાલા કાર્યક્રમ હેઠળ દરિયાકિનારાના સમુદાયોના વિકાસની કટિબદ્ધતાને મજબૂત પણ કરશે. એનાથી ભારત અને દુનિયામાં બંદર અને દરિયાઈ ક્ષેત્રના વિકાસ માટે કુશળ મેનપાવરને પ્રોત્સાહન મળશે. તેમણે ઉમેર્યુ હતું કે, અમે આપણા બંદરોની ક્ષમતાઓમાં વધારો કરીને આપણા દેશની આર્થિક ક્ષમતા વધારવા કટિબદ્ધ છીએ. અમે દરિયાઈ પરિવહન ક્ષેત્રની વિવિધ સમસ્યાઓનું સમાધાન કરવા પણ કટિબદ્ધ છીએ. અમે આપણી યુવા પેઢીને સક્ષમ બનાવવા કુશળ વર્કફોર્સનું નિર્માણ કરવાનું, ટેકનોલોજી-સંચાલિત ભવિષ્યમાં તેમને સક્ષમ બનાવવાનું અને દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિને વેગ આપવા પણ પ્રતિબદ્ધ છીએ. આ સમજૂતી આપણા ઉમદેવારોના ભવિષ્ય વધારે ઉજ્જવળ બનાવશે, જેઓ બંદરો અને દરિયાઈ ક્ષેત્રના વિકાસમાં કટિબદ્ધ છે. ઉપરાંત એનાથી આપણા વર્કફોર્સ માટે ભારત અને દુનિયામાં દરિયાકિનારાના કેન્દ્રોમાં રોજગારીની અનેક નવી તકો ઊભી થશે. આ આઇટીઆઇ, એનએસટીઆઈ અને પીએમકેકે અને પીએમકેવીવાય કેન્દ્રો જેવા હાલના માળખાનો ઉપયોગ પણ કરશે, જેનો આશય દરિયાકિનારાના જિલ્લાઓમાં જરૂરી કુશળતા મુજબ મેનપાવરને તાલીમ આપવાનો હશે.

જહાજ મંત્રાલય (એમઓએસ) સાગરમાલા અભિયાન અંતર્ગત જ્યાં લાગુ કરી શકાય અને જ્યાં વ્યવહારિક હોય એવી વિવિધ કૌશલ્ય નિર્માણ અને કૌશલ્ય સંવર્ધન પહેલોનો અમલ કરવા માટે ફંડ સ્વરૂપે ટેકો આપશે. આ જોડાણ અંતર્ગત જહાજ મંત્રાલય એના નેજાં હેઠળ કાર્યરત સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓની સાથે ખાનગી ક્ષેત્રના જોડાણ દ્વારા પણ કૌશલ્ય વિકાસ અને કૌશલ્ય સંવર્ધન સાથે સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનો અમલ કરશે. ઉદ્યોગની જરૂરિયાત અને યુવાનોની આકાંક્ષા પર આધારિત કૌશલ્ય તાલીમનો અમલ કરવા જહાજ મંત્રાલયે વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે,જે લાંબા સમયથી કૌશલ્યની તાલીમ આપવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે. દરિયાકિનારે વસતા સમુદાયોમાં કૌશલ્યનો વિકાસ સાગરમાલા કાર્યક્રમનો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ છે અને દરિયાકિનારે વસતા સમુદાયોના વિકાસ માટેની પ્રવૃત્તિઓ માટે રૂ.૧૦૦કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.