Abtak Media Google News

201 એકર જમીનમાં 1195 કરોડના ખર્ચે તૈયાર થનાર કેમ્પસનું કામ બે વર્ષમાં પૂર્ણ થશે, એક વર્ષમાં ઓપીડી શરૂ કરી દેવાનો નિર્ધાર

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં એઇમ્સની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં જ્યાં ક્યાંય એઇમ્સ બની છે તેનાથી વધુ ઝડપથી રાજકોટની ભાગોળે એઇમ્સ આકાર લઈ રહી છે. સમગ્ર કેમ્પસનું કામ 2 વર્ષમાં પૂર્ણ થઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જ્યારે એક વર્ષમાં ઓપીડી શરૂ કરી દેવામાં આવે તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજથી એઇમ્સની પ્રથમ મેડિકલ બેચનો પ્રારંભ થયો છે.

185 કરોડના ખર્ચે મેડિકલ આર્ટ ઇક્વીપમેન્ટ લગાવવામાં આવશે: ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેમ્પસનું ખાતમુહૂર્ત

ખંઢેરી પાસે નિર્માણાધીન એઇમ્સનો સ્ટ્રક્ચર પ્લાન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.  એઇમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા આધુનિક હોસ્ટેલ ઉભી કરવામાં આવશે. તેમજ અદ્યતન ક્લાસરૂમ પણ બનાવવામાં આવશે. એઇમ્સ હોસ્પિટલનું કાયમી કેમ્પસ બને તે પહેલા કામચલાઉ મેડિકલ કેમ્પસ શરૂ કરાયું છે. જેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે, વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણ માટે તૈયાર કરી શકાય. એઇમ્સ જોધપુર એઇમ્સ રાજકોટનું મેન્ટર છે. અહીં કેમ્પસમાં બાઉન્ડ્રીનું કામ 70 ટકા પૂર્ણ થઈ ગયું છે. આનો માસ્ટર પ્લાન પણ મંજૂર થઈ ગયો છે. અહીં રાજકોટ મનપા દ્વારા બિલ્ડીંગના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આથી ક્ધસ્ટ્રક્શનું કામ શરૂ કરી દીધું છે. જુન 2022માં ક્ધસ્ટ્રક્શન કામ પૂર્ણ થઈ જશે. 185 કરોડના ખર્ચે એઇમ્સમાં મેડિકલ આર્ટ એક્યુપમેન્ટ એઇમ્સમાં લગાવવામાં આવશે. બધુ નિયમ પ્રમાણે ચાલશે તો બે વર્ષમાં એઇમ્સ હોસ્પિટલ બની જશે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે જ જૂન 2022 સુધીમાં એઇમ્સ સંપૂર્ણ તૈયાર થઇ જવાના સંકેત જોવાય રહ્યાં છે. બાદમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના લોકો માટે આરોગ્યની આધુનિક સુવિધા ઘર આંગણે મળી રહેશે. જેથી મુંબઈ કે દિલ્હી સુધી આરોગ્ય સારવાર માટે જવું નહીં પડે.

 

પ્રથમ મેડિકલ બેચનો પ્રારંભ: કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાયા

એઇમ્સ હોસ્પિટલની મેડિકલ કોલેજનું શિક્ષણ કાર્ય આજ રોજ શરૂ થવા જઈ રહ્યું છે. મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની બેચથી કરવામાં આવી છે. આ માટે 17 જેટલા પ્રોફેસરોની નિમણુક પણ કરવામાં આવી છે. આજે વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્યમંત્રી હર્ષવર્ધન તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુલ માધ્યમથી જોડાયા હતા. આજથી શરૂ થતી એઇમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝ્યોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.