Abtak Media Google News

સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ આખાને જોડવા સજ્જ!!

દેશભરના પ્રવાસન સ્થળોમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આગવું મહત્વ ધરાવે છે. આઝાદીના સમયે દેશી રજવાડાને એક કરી અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કેવડિયા ખાતે કરવામાં આવ્યું છે. વિશ્વભરની સૌથી ઉંચી પ્રતિમાનું સ્થાન ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે સમગ્ર દેશમાંથી કેવડિયા જવા માટે મુસાફરી સરળ બને તર હેતુસર દેશભરના મોટા શહેરોથી કેવડિયાને જોડતી ૬ નવી એકપ્રેસ ટ્રેનનું ફ્લેગઓફ રવિવારે વડાપ્રધાન મોદી કરનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોફી વારાણસી, દાદર, દિલ્લી, અમદાવાદ, રેવા અને ચેન્નઈ સ્ટેશન ખાતેથી સીધી કેવડિયા જતી ૬ એક્સપ્રેસ ટ્રેનનું ફ્લેગઓફ આગામી રવિવારે કરનાર છે. જેમાં અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ટ્રેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચનો પણ સમાવેશ કરાયો છે જે મુસાફરીને વધુ યાદગાર બનાવશે.

એક્સપ્રેસ ટ્રેન સેવા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાત લેતા પ્રવાસીઓને સરળ મુસાફરીસીધો પૂરી પાડશે.  અધિકારીઓના મત મુજબ સરળ અને નિયમિત રેલ સેવા કેવડિયા ખાતે વધુ પ્રવાસીઓને લાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપશે. રેલવે મંત્રાલયે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા રેલ્વે સ્ટેશન બનાવ્યું છે, જેનું ઉદઘાટન રવિવારે વડાપ્રધાન કરનાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડભોઇ-ચાંદોદ-કેવડિયા બ્રોડ ગેજ રેલવે લાઇન તેમજ પ્રતાપનગર-કેવડિયા ઇલેક્ટ્રિક રેલવે લાઇનનું પણ આગામી રવિવારે ઉદ્ઘાટન કરનાર છે. એક સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર આ તમામ જોડાણ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે. પ્રવાસન સ્થળોને આકર્ષકનું કેન્દ્ર બનાવવા આ તમામ પગલાઓ લેવાઈ રહ્યા છે. તાજેતરમાં જ સરદાર પટેલની ૧૪૫મી જન્મ જયંતિ નિમિતે  સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી પ્લેન સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. સી પ્લેન સુવિધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી અમદાવાદ રિવર ફ્રન્ટ સુધી હાલ કાર્યરત કરવામાં આવી છે. સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંઓ દેશભરને કેવડિયાથી જોડી દેવા તરફના છે તેવું ચોક્કસ કહી શકાય છે અથવા એવું પણ કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ આખાને જોડી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.