Abtak Media Google News

તમિલનાડુના નીલગીરીમાં જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહરેનામું : વધુમાં વધુ લોકો વેક્સિન લ્યે તે માટેનો પ્રયાસ

હવે જામ છલકાવવું મુશ્કેલ બની શકે છે. કારણ કે હવે દારૂ ખરીદવા માટે ખાસ પ્રમાણપત્ર બતાવવું પડશે. આ પ્રમાણપત્ર હાંસલ કરવું જોકે મુશ્કેલ નથી પરંતુ તેના માટે તમારે આળસ ખંખેરી સરકારના એક મહાઅભિયાનમાં જોડાવું પડશે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે રસીકરણ ગતિ વધારવામાં આવી છે. હજુ ઘણા લોકોનું આળસ ઉડી નથી અને ક્યાંક તે ખોટી માન્યતાઓ અને ડરમાં વેક્સીન લેવાનું ટાળે છે.

આ વચ્ચે રસીકરણ અભિયાનમાં દરેકને જોડવા હવે માત્ર એવા લોકો કે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેઓ જ સરકારી વાઇનશોપમાંથી ખરીદી કરી શકશે. જો કે આ જાહેરનામું તમિલનાડુંના નીલગીરીમાં બહાર પાડવામાં આવ્યું છે.

રસીકરણને લઈને ઘણા પ્રકારની અફવાઓ અને ખોટી માહિતી ફેલાઈ છે જેને દૂર કરવા માટે અધિકારીઓએ રસીકરણ અંગે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું હતું.મોટી સંખ્યામાં લોકોને રસીકરણ કરાવવા અને આ મિશનનો ભાગ બનવા માટે અપીલ કરવામાં આવી હતી. પરંતુ લોકો હજુ પણ રસી લેવાથી અંતર રાખી રહ્યા છે.

જે લોકો સરકારી વાઈનશોપમાંથી દારૂ ખરીદવા માંગતા હોય તો તેઓએ પહેલા કોરોનાની રસી માટે બંને ડોઝનું પ્રમાણપત્ર બતાવવું પડશે. જાહેરનામું બહાર પાડનાર કલેકટર દિવ્યાએ જણાવ્યું હતું કે ખુબ સારો પ્રતિભાવ મળ્યો છે . મોટી સંખ્યામાં લોકોને પ્રથમ કે બીજી વખત રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. એટલે કે આ હુકમ ચોક્કસપણે લોકો પર અસર કરી રહ્યો છે.

જિલ્લા કલેકટર દિવ્યાએ કહ્યું કે અમે કોવિડ પોર્ટલને અપડેટ કરી રહ્યા છીએ. અમને માહિતી મળી છે કે કેટલાક લોકોએ કહ્યું છે કે તેઓ દારૂનું સેવન કરે છે અને રસી લેવા માટે તૈયાર નથી. તેમને રસી અપાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો કે જે કોઈ દારૂ ખરીદવા માંગે છે તે પહેલા રસીકરણનું પ્રમાણપત્ર બતાવે તે અનિવાર્ય છે. સરકારી આઉટલેટ્સ પર દારૂ ખરીદવા માટે રસીકરણ પ્રમાણપત્ર સાથે આધાર કાર્ડ સબમિટ કરવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.