Abtak Media Google News

લોકસભા આવાસ સમિતિએ રાહુલ ગાંધીને સરકાર દ્રારા આપવામાં આવેલ બંગલો 22 એપ્રિલ સુધીમાં ખાલી કરવા આપી નોટિસ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા પછી હવે તેમને 22 એપ્રિલ સુધી દિલ્હી સ્થિતિ પોતાનો આધિકારિક બંગલો ખાલી કરવો પડશે. લોકસભા આવાસ સમિતિએ સોમવારે કથિત રીતે રાહુલ ગાંધીને સરકાર દ્રારા આપવામાં આવેલ બંગલો ખાલી કરવા માટે નોટિસ જાહેર કરી છે. રાહુલ ગાંધી 2004માં લોકસભા સાંસદ ચૂંટાયા પછી 12, તુગલક લેન બંગલો આપવામાં આવ્યો હતો.

નિયમ પ્રમાણે તેમને અયોગ્યતા આદેશની તારીખથી એક મહિનાની અંદર પોતાનો બંગલો ખાલી કરવો પડશે. આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જુલાઇ 2020માં પોતાનો આધિકારિક લોધી એસ્ટેટ બંગલો ખાલી કરવો પડ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે તે રાજનીતિક રૂપથી રાહુલ ગાંધીની સજા અને અયોગ્યતા સામે લડાઇ લડશે.

ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીએ 13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાએ 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો.

હાઇકોર્ટ અને સુપ્રીમ સજાનો નિર્ણય કાયમ રાખશે તો રાહુલ 8 વર્ષ સુધી ચૂંટણી નહિ લડી શકે!

રાહુલ ગાંધીની સજાનો નિર્ણય હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ યથાવત્ રાખશે તો તે આગામી 8 વર્ષ સુધી ચૂંટણી પણ લડી શકશે નહીં. બે વર્ષની સજા પુરી થયા પછી તે છ વર્ષ માટે અયોગ્ય રહેશે. સુરત કોર્ટના ફેંસલા પર રાહુલ ગાંધી ઉપરની કોર્ટમાં પડકાર આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.