Abtak Media Google News

કોંગ્રેસ દ્વારા 7 સપ્ટેમ્બરથી ભારત જોડો યાત્રાનો આરંભ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડ હવે ગણતરીનાં મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે તમામ   રાજકીય પક્ષો  દ્વારા   ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે  ચૂંટણી જંગ ત્રિપાંખીયો રહેશે આગામી 27 અને 28 ઓગષ્ટના રોજ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની  મૂલાકાતે આવી રહ્યા છે. દરમિયાન  5 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે.  દરમિયાન  7 સપ્ટેમ્બરથી કોંગ્રેસ દ્વારા  ભારત જોડો યાત્રાનો આરંભ કરવામાં આવશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસ સમિતિના સિનિયર ઓર્બઝર્વર  અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ  મજબુતાઈથી ચૂંટણી લડશે અને જીતશે. પૂજ્ય મહાત્મા ગાંધી – સરદારના ગુજરાતમાં આજે એવા લોકો ચૂંટણી પ્રચાર કરવાની હિંમત કરી રહ્યાં છે જેમને પોતાના રાજ્યોની સરકારી ઓફીસમાંથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની તસ્વીર હટાવીને ગુજરાતનું અપમાન કર્યું છે.

27 વર્ષથી કોંગ્રેસ પક્ષની ગુજરાતમાં સરકાર ન હોવા છતાં પ્રજાના અવાજને મજબુતાઈથી કોંગ્રેસ પક્ષના કાર્યકરો હિંમતભેર ઉઠાવી રહ્યાં છે. ગુજરાતનાં લોકો આવા તકવાદી લોકોની છેતરામણી જાહેરાતો – વાયદાઓ પર વિશ્વાસ નહી કરે. કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શાળા-કોલેજો, આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો, સીવીલ હોસ્પિટલો, ખેડૂતલક્ષી, સિંચાઈ, બંદરો, જી.આઈ.ડી.સી., મોટા ઉદ્યોગો, રોડ-રસ્તા,  સહિત વિવિધ કરેલા વિકાસના કામો બોલે છે. અને આગામી દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષ પ્રજાલક્ષી યોજનાઓ લાવી ગુજરાતમાં જનતા સરકાર પ્રસ્થાપિત કરશે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી  કે સી વેણુગોપાલે  જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની હિંમત તેના કાર્યકર્તાઓ છે, કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતને લઈને કટિબધ્ધ છે. એટલા માટે જ કોંગ્રેસના સૌથી સિનિયર અને અનુભવી અશોક ગેહલોતને ગુજરાતમાં સીનીયર નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યાં છે. ભાજપ ઊઉનો ઉપયોગ ઈલેક્શન ડીપાર્ટમેન્ટ તરીકે કરી રહી છે, ભૂતકાળમાં પણ આઝાદીની લડાઈમાં કેટલાંક લોકો અંગ્રેજો સાથે જોડાયા હતા અત્યારે પણ અંગ્રેજોની વિચારધારાને અનુસરનારા લોકો ધાકધમકી સહિતના હથકંડાઓ અપનાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા લોકોને તોડી રહી છે. ગુજરાત કોંગ્રેસ તમામ 182 વિધાનસભામાં મજબુતાઈથી લડશે.

આજે દેશમાં બંધારણ, લોકશાહી ખતરામાં છે ત્યારે દેશને એકતાંતણે જોડવા માટે કોંગ્રેસપક્ષ દ્વારા સમગ્ર દેશમાં   સોનિયા ગાંધી,  રાહુલ ગાંધી,  પ્રિયંકાના નેતૃત્વમાં 7 સપ્ટેમ્બરથી ભારત જોડો યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી તેમજ ભારત જોડો કાર્યક્રમના અનુસંધાને તા. 5 સપ્ટેમ્બરના રોજ   રાહુલ ગાંધી ગુજરાત આવશે અને કોંગ્રેસ પક્ષના સમગ્ર રાજ્યના કાર્યકરો અને બુથની જવાબદારી સંભાળતા સાથીદારોને સંબોધન કરશે.

વિધાનસભા 2022ની ચૂંટણી અંગેની વિશેષ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઓ  ભરતસિંહ સોલંકી,  અર્જુનભાઈ મોઢવાડીયા,   સિધ્ધાર્થભાઈ પટેલ,  અમિત ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી મધુસુદન મિસ્ત્રી, રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા   શક્તિસિંહ ગોહિલ,   અમીબેન યાજ્ઞિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી  વિરેન્દ્રસિંહ રાઠોડ,  બી.એમ. સંદીપ,   રામકિશન ઓઝા,   ઉષા નાયડુજી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ  લાલજીભાઈ દેસાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા  પરેશ ધાનાણી,   મોહનસિંહ રાઠવા, રાષ્ટ્રીય પ્રવક્તા  રોહન ગુપ્તા,  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.