Abtak Media Google News

નવરાત્રિ પહેલા એક દિવસીય ‘વેલકમ નવરાત્રિ’ના રાજકોટમાં અનેક આયોજનો,પરંતુ વરસાદી વિઘ્નને કારણે આયોજનો પર લટકતી તલવાર

રાજકોટ રંગીલું મોજીલું શહેર છે.ઉત્સવ પ્રેમી જનતા માટે એક બાદ એક તહેવારોની વણજાર છે ત્યારે આગામી 26 સપ્ટેમ્બર ના રોજ નવલી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે.ગરબા પહેલા ગરબા એટલે કે વેલકમ નવરાત્રિથી જ રાજકોટ શહેરમાં ખેલૈયાઓ ધૂમ મચાવતા હોઈ છે ત્યારે આ વર્ષે પણ ગત 4 તારીખથી જ વેલકમ નવરાત્રિના એક દિવસીય આયોજનો શરૂ થઈ ચૂક્યા છે.જુદા જુદા પાર્ટી પ્લોટમાં આ એક દિવસીય આયોજનો થયા છે ત્યારે છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસતા વેલકમ નવરાત્રિના 4 જેટલા આયોજનો રદ પણ થયા છે.હજુ પણ આગામી દિવસોમાં વરસાદી આગાહીને પગલે અનેક વેલકમ નવરાત્રીના આયોજનો પર વાદળો ઘેરાયા છે ત્યારે તમામ આયોજકો અને ખેલૈયાઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Navratri 2021 Guidelines In Maharashtra: Garba, Dandiya Banned, Maximum 5 People Allowed In Pandals [Details] | Maharashtra News

2 વર્ષ બાદ અર્વાચીન રાસોત્સવ થતા ખેલૈયાઓમાં બમણો ઉત્સાહ

રાજ્યની જનતા ઉત્સવ પ્રેમી જનતા છે ત્યારે કોરોનાને કારણે 2 વર્ષ સુધી અર્વાચીન રાસોત્સવના એક પણ આયોજનો ન થતા ખેલૈયાઓને ઘરમાં બેસી રહેવું પડયું હતું જ્યારે સરકારે ચાલુ વર્ષે છૂટ આપતા ઉત્સવ પ્રેમી જનતામાં આનંદ છવાયો છે.રાજકોટ શહેરમાં નવરાત્રિ માત્ર 9 દિવસ પૂરતી જ નહીં પરંતુ વેલકમ અને બાય-બાય નવરાત્રિના વિવિધ આયોજનો મળી એક મહિનાના અર્વાચીન રાસોત્સવ થઈ રહ્યા છે.વરસાદી વિઘ્ન નડતા વેલકમ નવરાત્રીનો ઉત્સાહ પણ વરસાદમાં હાલ તો ધોવાઈ જાય તેવી સ્થિત સર્જાઈ છે.

વેલકમ નવરાત્રિમાં વિઘ્ન આવશે તો બાય-બાય નવરાત્રિનું આયોજન કરીશું : આયોજકો

નવલી નવરાત્રિ પહેલા રાજકોટ શહેરમાં આજથી આગામી દિવસોમાં વેલકમ નવરાત્રિના જુદા જુદા ગ્રાઉન્ડમાં કુલ 15 જેટલા આયોજનો છે જેમાં મોટા ભાગના આયોજકો જણાવી રહ્યા છે કે અમારે રાજકોટની જનતાને જલસા તો કરાવવા જ છે.અમે એક દિવસીય નવરાત્રિનું આયોજન કમાવાની દ્રષ્ટિએ નહીં પરંતુ 2 વર્ષ બાદ માત્ર મોજ ખાતર એક દિવસીય વેલકમ નવરાત્રિનું આયોજન કરેલ છે.જો વરસાદી વિઘ્ન સર્જાશે તો કોઈ નવી તારીખ જાહેર કરીશું અથવા તો બાય-બાય નવરાત્રિનું એક દિવસીય આયોજન કરીશું પરંતુ શહેરની જનતા અને ખેલૈયાઓને નિરાશ નહિ થવા દઈએ.

18 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી,માત્ર સાંજે જ વરસાદ આવતા રાત્રે આયોજન અશક્ય

રાજકોટ શહેરમાં છેલ્લા 4 દિવસથી મોડી સાંજથી જ વરસાદનું આગમન થઈ જાય છે.દેઘનાધન દરરોજ 2 થી 2.5 ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક રાજમાર્ગો પર પાણી ફરી વળે છે સાથે જ વેલકમ નવરાત્રિના આયોજનો જ્યા થવાના છે એ તમામ ગ્રાઉન્ડમાં પણ વરસાદને કારણે પાણી ભરાવાના તેમજ કાદવ કીચડ ની સમસ્યા ઉદ્દભવી છે.તમામ આયોજકો શહેરની જનતાને ગ્રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા માટે સજ્જ છે પરંતુ વરસાદને કારણે 4 જેટલા એક દિવસીય આયોજનો કેન્સલ થયા છે ત્યારે આગાહીને પગલે આગામી દિવસોના આયોજનો પણ કેન્સલ થવાનો ડર આયોજકોને લાગી રહ્યો છે.આગામી 18 સપ્ટેમ્બર સુધી દરરોજ સાંજે વરસાદી આગાહી છે ત્યારે આયોજકો પણ પોતાનું આયોજન કેન્સલ જ થશે તે મન મનાવીને નવી તારીખે પોતાનું એક દિવસીય આયોજન કરવાનું વિચારી રહ્યા છે.

વેલકમ નવરાત્રિનું આયોજન કેન્સલ થાય તો ખેલૈયાઓને પાસના પૈસા પરત આપવા પડશે !!!

એક દિવસીય વેલકમ નવરાત્રિના અનેક આયોજનો રાજકોટ શહેરમાં યોજાવાના છે ત્યારે જો વરસાદી વિઘ્ન જણાશે અને આયોજન કેન્સલ કરવાની સ્થિતિ ઉદભવશે તો તમામ આયોજકોએ ખેલૈયાઓને પાસના રૂપિયા પરત આપવા પડે તેવી સ્થિતિ હાલ સર્જાવાનો ડર આયોજકોને લાગી રહ્યો છે.એક દિવસીય આયોજન માટે પણ એક મહિના અગાઉથી તૈયારીઓ ચાલતી હોય છે જેમાં ગ્રાઉન્ડ, મંડપ,લાઈટ,ઓરકેસ્ટ્રા,સિંગર્સ ,સાઉન્ડ,પાસ પ્રિન્ટિંગ ,સહિત અનેક તૈયારીઓ કરતા હોય છે.15 દિવસ અગાઉ જુદા જુદા ગરબા કલાસીસે પોતાના એક દિવસીય આયોજનોના પાસ પણ વેચવા માટે આપતા હોય છે જેનો ભાવ રૂપિયા 100 થી 200 સુધી રાખવામાં આવતો હોય છે.અનેક વેલકમ નવરાત્રિના પાસ વહેંચાઇ ચુક્યા છે ત્યારે જો આયોજનજ કેન્સલ થાય તો ઉઘરાવેલા પાસના રૂપિયા પણ પરત આપવા પડે તેવી સ્થિતિ નું નિર્માણ થવાની ભીતિ સર્જાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.