Abtak Media Google News

 

સુરેન્દ્રનગર જિલ્લાની ખેતીને પુરૂ પાડી શકાય તેટલા નર્મદાના નીરનો રણમાં વેડફાટ

 

અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના ખારાઘોડા રણ વિસ્તારમાં નીંચાણવાળા ભાગમાં છેલ્લા 15 વર્ષથી નર્મદાનું ઓવરફલો થયેલું પાણી બજાણા-ભરાડા વોકડા થઈને રણ વિસ્તારમાં ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યું છે.

આથી દસાડા ધારાસભ્યે રણમાં 3 કિ.મી.પાણી અને કાદવમાં ચાલીને અગરિયાની વ્યથા સમજી હતી

નર્મદા કેનાલનું ચિક્કાર પાણી રણમાં અગરિયાઓનાં સંખ્યાબંધ પાટામાં ફરી વળતા આખા રણમાં પાણી જ પાણી છે. ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જીલ્લાને અને એમાય સૂકાભઠ્ઠ ગણાંતા રણકાંઠા વિસ્તારને થયો હોવાની નર્મદા વિભાગ દ્વારા ગુલબાંગો ફુંકવામાં આવે છે. ત્યારે રણમાં દર વર્ષે લાખો ગેલન નર્મદાનું પાણીનો બેરોકટોક વ્યય થાય છે. આ વર્ષે હાલમાં રણમાં 17મી વખત 40 કિ.મી.માં નર્મદાનું પાણી ફરી વળતા તબાહીનું મંજર જોવા મળ્યું હતુ. એક બાજુ અભયારણ્ય વિભાગ ઘૂડખરને નુકશાન થવાનું જણાવી મીઠું પકવતા અગરિયાઓ માટે જમીનની અંદર પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની મંજૂરી આપતું નથી અને બીજી બાજુ રણમાં નર્મદાનું પાણી વેડફાતા હજારો અગરિયા પરિવારો પાયમાલ અગરિયાઓ માટે એકબાજુ કૂવોને બીજી બાજુ ખાઇ જેવો હાલ થવા પામ્યાં છે. આ દયનીય પરિસ્થિતિના લીધે રણમાં પરંપરાગતરીતે પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયા સમુદાયને સામુહિક હિજરત કરવાની નોબત આવી છે.આ વાતની જાણ થતાં જ દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી ે રણમાં જઈ 3 કિ.મી.પાણી અને કાદવમાં ચાલીને મીઠું પકવતા અગરિયાઓની આપવીતી સાંભળી હતી. અને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે વિધાનસભામાં રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી

આખા સુરેન્દ્રનગર જીલ્લાની ખેતીને પુરૂ પાડી શકે એટલું નર્મદાનું નીર રણમાં વેડફાય છે

ચોંકાવનારી હકીકત મુજબ, આખા સુરેન્દ્રનગર જીલ્લાની ખેતીને આખું વર્ષ જેટલું પાણી જોઇએ એનાથી પણ વધારે નર્મદાનું પાણી દર વર્ષે રણમાં બેરોકટોક વેડફાઇ રહ્યું છે. આ અંગે લાગતા વળગતા તંત્રને અનેકો વખત કરાયેલી રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.