Abtak Media Google News

વેપારીના બાઈકને રસ્તામાં આંતરી પિતા-પુત્ર સહિત પાચ શખ્સોએ પાઈપથી લમધાર્યો

શહેરના શેઠનગર વિસ્તારમાં રહેતા એગ્રો વેપારીને પિતા – પુત્ર સહિત પાચ શખ્સોએ માર મારતા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં સામે વાળા શખ્સોએ ’ તું બાપુ કેમ નથી કહેતો?’ કહીને પાંચેય શખ્સો પાઇપ વડે તૂટી પડ્યાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના શેઠનગર વિસ્તારમાં રહેતા અને બાલાજી એગ્રો સેન્ટર તરીકે દુકાન ધરાવતા આશુતોષભાઈ ઉમેશચંદ્ર ઠાકર નામના 45 વર્ષના આધેડને બાબુ પરમાર, તેના પુત્ર જયરાજ ઉર્ફે જયેશ પરમાર, તેમના ભાણેજ સિદ્ધરાજ ગોહેલ અને જયરાજના બે મિત્રો સહિત પાચ શખ્સોએ આધેડનું બાઈક આંતરી પાઇપ અને છરી વડે હુમલો કરતા આશુતોષભાઈ ઠાકરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે આધેડ આશુતોષભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ કાલે પોતે રાત્રીના સમયે દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે બાબુ પરમાર બાઈક આડે આવી ” ઠાકરડા, તું મને બાપુ કેમ નથી કહેતો?” તેમ કહી માથાકૂટ કરવા લાગ્યો હતો.આધેડ અને બાબુ પરમાર વચ્ચે બોલાચાલી બાદ બાબુના પુત્ર જયરાજ, ભાણેજ સિદ્ધરાજ અને બે મિત્રો સહિત પાચ શખ્સોએ પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.