Abtak Media Google News

બ્રિજની મુલાકાત બાદ મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જાહેર ર્ક્યું કે, 10મી ડિસેમ્બરે વાહન ચાલકો માટે બ્રિજ ખુલ્લો મુકી દેવાશે: મેયરે કહ્યું કે, 10મી સુધી માત્ર કામ પૂર્ણ કરવા જ તાકીદ કરવામાં આવી છે

લક્ષ્મીનગરના નાલા પાસે હાલ અંડરબ્રિજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બ્રિજ ખુલ્લો મુકવા મામલે મહાપાલિકાના બે મુખ્ય ધુરંધરો વચ્ચે મતમતાંતર ચાલી રહ્યું છે. આજે બ્રિજની કામગીરીનું નિરીક્ષણ ર્ક્યા બાદ મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ એવી જાહેરાત કરી દીધી હતી કે, 10મી ડિસેમ્બરે લક્ષ્મીનગર બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકી દેવામાં આવશે.

બીજી તરફ મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા આપવામાં આવેલી અખબારી યાદીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 10મી ડિસેમ્બર સુધીમાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી છે. બ્રિજ ક્યારે ખુલ્લો મુકાશે તે અંગે ભારે અસમંજસ ઉભુ થયું છે. અગાઉ ઓગષ્ટ માસમાં બ્રિજની કામગીરી પૂર્ણ થઈ જશે તેવી ઘોષણા કરવામાં આવી હતી પરંતુ હજુ બ્રિજ ક્યારે ખુલ્લો મુકાશે તે અંગે સમય મર્યાદા મામલે ભારે અસમંજસ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.

લક્ષ્મીનગર નાલામાં ચોમાસા દરમ્યાન આવનજાવન માટે ખુબજ મુશ્કેલી ઉભી થતી હતી. તેમજ અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવતી. ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે હૈયાત નાલાના સ્થાને પહોળાઈ ધરવાતા અન્ડરબ્રિજ બનાવવાના કામના ભાગરૂપે રેલ્વે વિભાગ સાથે “ડીપોઝીટ વર્ક” તરીકે કામ કરાવવાનું નક્કી ર્ક્યું હતું. રેલ્વે વિભાગ દ્વારા એજન્સીને 24 જાન્યુઆરી 2020થી ઓર્ડર આપી કામગીરી શરૂ કરાયેલ આજે અન્ડરબ્રીજની કામગીરીની મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડે.કમિશનર સી. કે. નંદાણી, એ.આર. સિંઘ, એડી.સિટી એન્જીનીયર કમલેશભાઈ ગોહિલ, હેમેન્દ્રભાઈ કોટક, રેલ્વે અધિકારીઓ મુલાકાત લીધી હતી.

આ કામ માટે રૂ.24.91 કરોડ મહાપાલિકા દ્વારા ડીપોઝીટની રકમ જમા કરાયેલ છે. હયાત નાલાની જગ્યાએ બે નવાં બોક્ષ ટાઇપ ફોર લેન અન્ડરપાસ બનાવવાની કામગીરી ચાલુ છે. જેની એક બોક્ષની અંદાજીત સાઇઝ 50 મીટર લંબાઇ 7.50 મીટર પહોળાઇ તથા 4.50 મીટરની ઉંચાઇ રહેશે. પેડસ્ટ્રીયલ બોકસની સાઇઝ ર.50 બાય ર.90 મીટર રહેશે. તથા ટાગોર રોડ સાઈડ 116 મીટર તથા નાનામવા સાઈડ 135 મીટર એપ્રોચ રોડ  ઉપરાંત વરસાદી પાણીનાં નિકાલ માટેની તેમજ લાઇટીંગની વ્યાવસ્થા કરવામાં આવશે.

આ અન્ડરપાસ થવાથી રાજકોટ પશ્ચિમ વિસ્તાર તરફનાં પ્રજાજનોને શહેરમાં અવર-જવર કરવા માટે વધુ સુગમતા થતાં ટ્રાફિકનાં પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ આ સમગ્ર અન્ડજર પાસ બનાવવાની કામગીરી રેલ્વે  વિભાગ મારફત કરવામાં આવશે.

નાનામવા રોડ સાઈડ ખુબજ ડેવલપ થયેલો હોય આ નાલાનો ઉપયોગ દરરોજ હજારો લોકો આવનજાવન તરીકે કરતા હતા. જેથી આ કામગીરી ઝડપથી થાય તે ખુબજ જરૂરી છે. સબબ, સદરહુ કામગીરી આગામી 10 ડીસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા એજન્સીને મેયર સહિતના પદાધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

વિશેષમાં, મેયર ડો.પ્રદિપ ડવએ જણાવેલ કે, આગામી સમયમાં પોપટપરા નાલાની સમસ્યા નિવારવા પણ કાર્યવાહી હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.