Abtak Media Google News

તત્કાલિન પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ સાખરા અને રાઇટર યોગેન્દ્રસિંહ જાડેજા સસ્પેન્ડ: ચારેય સામે એસીબીની ઇન્કવાયરી

અબતક,રાજકોટ

રાજકોટના વેપારી સખીયા અને મુનિરા વચ્ચેના અવ્યવહારૂ વ્યવહારમાં પોલીસની લેવામાં આવેલી મદદના રાજકોટ પોલીસ વિરૂધ્ધ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા રાજકોટ પોલીસ દ્વારા થયેલા કથિત તોડકાંડ અંગે લખેલા સ્ફોટક પત્રના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના જવાબદાર સામે ઇન્કવાયરી શરૂ કરી એડીશનલ ડીજી વિકાસ સહાય દ્વારા ગૃહ વિભાગને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યા બાદ ગૃહ વિભાગ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ પીટીએસમાં બદલી કરી છે. જ્યારે તત્કાલિન પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ સાખરા અને રાઇટર યોગેન્દ્રસિંહ જાડેજાને સસ્પેન્ડ કરી ચારેય સામે એસીબીની ઇન્કવાયરી સોપવામાં આવી છે.

મુનિરાએ રાજકોટ પોલીસને કર્યા બદનામ: રાજયભરના આઇપીએસની બદલનો ઘાણવો ટૂંક સમયમાં આવશે

રાજકોટ પોલીસ સામે કથિત તોડકાંડનો હોટ ટોપીક બની જતા સરકાર દ્વારા પોલીસ કમિશર મનોજ અગ્રવાલ સામે એડીશનલ ડીજી વિકાસ સહાયને તપાસ સોપવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, તત્કાલિન પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ વી.એસ.સાખરા અને રાઇટર યોગેન્દ્રસિંહ જાડેજા સામે તપાસ પુરી કરી ગૃહ મંત્રાલયને તપાસ રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો. તોડકાંડના પગલે ગૃહ વિભાગ દ્વારા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના પીઆઇ અને પીએસઆઇની તાકીદની અસરથી બદલી કરવામાં આવી હતી. વિકાસ સહાયના રિપોર્ટ બાદ ગૃહ વિભાગ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ એસઆરપી ટ્રેનિગ સેન્ટરના પ્રિન્સીપાલ તરીકે બદલી અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન પીઆઇ વી.કે.ગઢવી, પીએસ.આઇ. વી.એસ.સાખરા અને રાઇટર યોગેન્દ્રસિંહ જાડેજાને સસ્પેન્ડ કરતા રાજકોટ પોલીસનું મોરલ સાવ તળીએ આવી ગયું છે.

રાજકોટના કથિત તોડકાંડનો મુદો વિધાનસભામાં ઉછળશે? : સહાયના રિપોર્ટ બાદ રાજકારણ ગરમાયું

રાજકોટ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સ્પેશ્યલ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને સોપવામાં આવ્યો છે. જૂનાગઢ હાજર થયા બાદ આઇપીએસ મનોજ અગ્રવાલને જૂનાગઢ એસપીની પૂર્વ મંજુરી વિના ન છોડવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ વી.એસ.સાખરા અને યોગેન્દ્રસિંહ જાડેજા સામે એન્ટી કરપ્શનને આવકની સરખામણીએ વસાવેલી મિલકત અંગેની તપાસ સોપવામાં આવતા રાજકોટ પોલીસનું મોરલ તુટી ગયું છે. અને રાજકોટ માટે નવા આવનાર પોલીસ કમિશનર માટે અનેક પડકારનો સામનો કરવો પડે તેવી સ્થીતી નિર્માણ થઇ છે.

રાજકોટ પોલીસના કથિત તોડકાંડનો આવતીકાલથી શરૂ થતા વિધાનસભા સત્રમાં કોંગ્રેસ દ્વારા ઉછાડવામાં આવે તેવી દહેશત સાથે બદલી અને ઇન્કવાયરી સોપવામાં આવી છે. વિધાનસભામાં રાજકોટના તોડકાંડની ચર્ચાથી રાજકીય મુદો રંગ લાવશે તેવુ પણ જાણકારો કહી રહ્યા છે. એકાદ બે દિવસમાં જ આઇપીએસ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવનાર હોવાના નિર્દેશ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.