Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વે વચ્ચેનો વરસો જુનો ટેક્સનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. રેલ્વે અને મહાનગરપાલિકા વચ્ચે આ વિષયમાં થયેલા એક સમજુતી કરાર (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષર પણ થઇ ગયા છે. હવે  મહાપાલિકા દ્વારા રેલ્વે પાસેથી સર્વિસ ચાર્જ વસૂલવા કાર્યવાહી આગળ ધપાવશે. રેલ્વે પાસેથી મહાનગરપાલિકાએ આશરે રૂ. 15 કરોડ જેવી રકમ વસૂલ થાય છે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ  અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્તરીતે જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વે વચ્ચે પ્રોપર્ટી ટેક્સ મુદ્દે સને 1954 થી આ ઇસ્યુ અણઉકેલ રહેતા સને 1997ની સાલમાં આ પ્રકરણ હાઈકોર્ટમાં પહોંચ્યું હતું, જેના ચુકાદા સામે સને 2003માં રાજકોટ મહાનગરપાલિકાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સને 2009માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ રેલ્વે સાથે એમ.ઓ.યું. કરવા બાબતે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો. આ વિષયમાં બંને તંત્ર વચ્ચે બેઠક પણ યોજાઈ હતી, જેમાં સર્વિસ ચાર્જ ચૂકવવા બાબતે રેલવેએ સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો હતો.

જેના પગલે એમ.ઓ.યુ.નો મુસદ્દો તૈયાર કરાયો હતો.અત્રે એ ઉલ્લેખ કરવો રહયો કે, તાજેતરમાં જ  મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને અને મ્યુનિ. કમિશનર  અમિત અરોરાની ઉપસ્થિતિમાં રેલ્વે અને રાજકોટ મહાનગરપાલિકાની એક સંયુક્ત મીટિંગ યોજાઈ હતી. જેમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની ચર્ચા દરમ્યાન સર્વિસ ચાર્જ મુદ્દે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. જેના પગલે એમ.ઓ.યુ. પર બંને પક્ષકારોનાં હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકી હતી.

રેલ્વે પાસેથી રાજકોટ મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સને બદલે સર્વિસ ચાર્જ વસૂલવાનો થાય છે. અગાઉની બાકી રકમ સહિત કુલ આશરે રૂ. 15 કરોડ જેવી રકમનું બિલ રેલવેને મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.