Abtak Media Google News

રાજકોટમાં એક તરફ ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ રાજકોટ એક શાળાએ શિક્ષણ આપવાની સાથે પ્રાણવાયુની સેવા આપવાનું ઉમદા કાર્ય પણ કર્યું છે. કસ્તુરબાધામ ત્રંબા ખાતે આવેલી રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલ, દ્વારા શહેરમાં હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓને આ ઓક્સિજનના સિલિન્ડર નિ:શુલ્ક પણે રીફીલ કરી આપે છે. આ અંગે વાત કરતા રાધિકા સ્કૂલના ચેરમેન ભરતભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે,  “સેવા પરમો ધર્મ” સેવાથી મોટો કોઈ ધર્મ નથી. આ મહામારીમાં જો આપણે એક બીજાની મદદ કરીએ તો અચૂક પણે કોરોનાને હરાવી શકીએ. હાલ અમારી શાળાની બસ દ્વારા દરરોજ 350 થી વધુ ઓકિસજનના સીલીન્ડર રીફીલીંગ કરી આપવામાં આવે છે. જેમાં અમે રાજકોટ ઉપરાંત ભાવનગર અને અન્ય શહેરોમાં પણ સેવા પુરી પાડીએ છીએ. ”

આ સેવા દ્વારા અત્યાર સુધીમાં 1500 જેટલા લોકોએ આ સિલિન્ડર રિફિલિંગની સેવાનો લાભ લીધો છે અને આ સેવા યજ્ઞ આજે પણ અવિરત પણે કાર્યરત છે. આ ઉપરાંત અનેક લોકોને વિનામૂલ્યે માસ્ક અને ફ્લોમીટરનું પણ વિતરણ પણ કરવામાં આવ્યું છે.કટોકટીના આ સમયે ભરતભાઈ ઢોલરીયા તેમની ટીમ દ્વારા જે કાર્ય કરી રહ્યા છે તે ખુબ જ વંદનીય છે.

આ કાર્યમાં સ્કૂલના તમામ ટ્રસ્ટીઓ, શિક્ષકો અને સ્કૂલ ના વાલીશ્રીઓ તથા મિત્ર વર્તુળ ના લોકો સેવા ભાવના થી પોતાની ફરજ બજાવી રહયા છે. જો કોઈ વ્યક્તિને ઓક્સિજન બાબતે કોઈ તકલીફ અથવા જરૂરીયાત હોય તો તેઓને ભરતભાઈ ઢોલરીયા ને 9825266032 પર  પર સંપર્ક  કરી મદદ માટે  કોલ કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.