Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હદય સમાન ગણાતી સિવિલ હોસ્પિટલ હંમેશા ચર્ચામાં રહે છે.રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કંઈકને કંઈક ખામી હોવાના કારણે તેનો સામનો હંમેશા દર્દીઓને જ કરવો પડે છે. ત્યારે વધુ એક સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.જેમાં નવી નકોર બનેલી પી.એમ.એસ.એસ.વાય (કોરોના) બિલ્ડિંગમાં પાણી બાબતેની ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યા સામે આવી છે. છ માળની બિલ્ડીંગ ને ચલાવવા માટે આર.એમ.સી દ્વારા માત્ર 20 મિનિટ માટે જ પાણી દેવામાં આવે છે જેના કારણે હોસ્પિટલને પોતાના ખર્ચે બારોબાર થી જ દસ દસ લિટરના બે પાણીના ટાંકા મંગાવી બિલ્ડીંગ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. પાણીની સમસ્યા બાબતે નર્સિંગ સ્ટાફ દ્વારા દસ – દસ વખત તબીબી અધિક્ષકને લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ તે બાબતે પગલાં લેવા માટે તબીબી અધિક્ષકના પેટનું પાણી હલયુ ન હતું.જેથી પાણી ની સમસ્યાનો ભોગ હાલ દર્દીઓ અને નર્સિંગ સ્ટાફ બની રહ્યા છે.

નર્સિંગ સ્ટાફ દ્વારા ’ પાણી ’ પ્રશ્ર્ને દશ-દશ વાર રજૂઆત કરવા છતાં સુપ્રીન્ટેડેંન્ટના પેટનું ‘પાણી’ ન હલ્યું

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ છ માળની પી.એમ.એસ.એસ.વાય (કોરોના) બિલ્ડિંગમાં ફિઝિયોથેરાપી, ડાયાલિસિસ, આઈ.સી.યુ, ઓ.ટી, ન્યુરોસર્જન ,યુરોસર્જન અને સ્કીન બેંક જેવા અનેક વિભાગો આવેલા છે. જેમાં દરરોજ 400 થી પણ વધુ દર્દીઓ પોતાની સારવાર માટે આવે છે.અને તેમની સારવાર કરવામાં માટે ડોક્ટર સહિત 150 થી 200 જેટલો નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ હોય છે. જેમાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોને દર્દીઓની સારવાર કરવા માટે ઘણી વખત પાણીની જરૂર પડતી હોય છે. પરંતુ કોરોનાની બીજી અને ત્રીજી લહેર સમાપ્ત થયા બાદ જ બિલ્ડિંગમાં પાણી એક મોટો પ્રશ્ન બન્યો છે.

જે બાબતે નર્સિંગ સ્ટાફ દ્વારા દસ – દસ વખત તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવિદીને જાણ કરવામાં આવી હતી પરંતુ તબીબી અધિક્ષક દ્વારા તે પ્રશ્ને કોઈપણ પગલાં લેવામાં આવ્યા ન હતા. અને પૂરતું પાણી ન મળી રહેતા હોસ્પિટલ ને પોતાના ખર્ચે દરરોજ બારો બારથી પાણીની વ્યવસ્થા કરી 10 હજાર લિટર બે પાણીના ટેન્કર બોલવા પડે છે.જેથી જો તબીબી અધિક્ષક દ્વારા આર એમ સી ને પાણીના સમસ્યા વિશે જાણ કરવામાં આવે તો આ પાણીની સમસ્યાનો ઉકેલ તુરંત જ આવી શકે છે પરંતુ આ કામગીરીમાં ઢીલાશના કારણે પાણીનો પ્રશ્ન હવે વિકરાળ બન્યો છે.

જ્યારે આ પાણીની સમસ્યા બાબતે દર્દીઓ અને ત્યાં ફરજ પર રહેલા નર્સિંગ સ્ટાફ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું અનેક વખત પાણીની સમસ્યા વિશે તબીબી અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ તેમના દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

છ માળની બિલ્ડિંગ માટે RMC દ્વારા માત્ર 20 મિનિટ જ અપાતું પાણી અપુરતું

રાજકોટની પી.એમ. એસ.એસ.વાય (કોરોના) બિલ્ડિંગમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરના સમયે આર એમ સી દ્વારા એક કલાક સુધી હોસ્પિટલની બિલ્ડીંગ ને પાણી અપાતું હતું પરંતુ કોરોનાની લહેર સમાપ્ત થતા જ આરએમસી દ્વારા તે એક કલાકને ઘટાડી માત્ર 20 મિનિટ જ હાલ પાણી આપવામાં આવી રહ્યું છે જેના કારણે છ માળની આ બિલ્ડીંગ ને 20 મિનિટમાં જેટલું પાણી આવે તેનાથી જ દિવસો ટૂંકા કરવા પડે છે.પરંતુ તેટલું પાણી પૂરું નહિ પડતા હોસ્પિટલ દ્વારા બહારથી જ પાણી માંગાવામાં આવે છે.

 

દરરોજ 10 હજાર લિટરના પાણીના બે ટાંકા ખરીદવાનો ખર્ચ

કોરોનાની બીજી અને ત્રીજી લહેર પૂરી થતાં જ પી.એમ.એસ.એસ.વાય બિલ્ડિંગમાં પાણીનો પ્રશ્ન હવે વિકરાળ બન્યો છે. આરએમસી દ્વારા માત્ર 20 મિનિટ જ પાણી અપાતું હોવાના કારણે હોસ્પિટલને દરરોજ 10 હજાર લિટરના બે પાણીના ટાંકા બહારથી મંગાવવા પડે છે. પરંતુ જો તબીબી અધિક્ષક દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તો સમસ્યાનો ઉકેલ થઈ શકે છે.

કોરોના સમયે 3 પાણીની લાઈન કોરોના બાદ માત્ર એકજ ચાલુ

કોરોનાની બીજી અને ત્રીજી લહેર આવી ત્યારે આરએમસી દ્વારા હોસ્પિટલની બિલ્ડીંગ ને ત્રણ પાણીની લાઈનની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ લહેર પૂર્ણ થતા જ આરએમસી દ્વારા તે લાઈન માંથી માત્ર એક લાઈન જ હાલ ચાલુ રાખવામાં આવી છે અને તેમાં માત્ર 20 મિનિટ જ પાણી આપવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.