Abtak Media Google News

રિક્ષા ચાલકો દ્વારા મહિલા મુસાફરો સાથે અભદ્ર વર્તન અને ભાડાના નામે કરાતી લૂંટ: સલામત સવારી એસટી અમારી

 

અબતક,રાજકોટ

રાજકોટમાં જૂના બસ સ્ટેશનના સ્થળે બનેલા લકઝરીયસ બસપોટ તંત્રની ગુનાહીત બેદરકારીના કારણે ધણીધોળી વિનાનું બની આવરા અને લુખ્ખા તત્વોનો અડ્ડો બની ગયું છે. સિક્યુરીટી અને સફાઇના અભાવે બસપોટના મુસાફરો હાલાકી અનુભવી રહ્યા છે. પેધી ગયેલા રિક્ષા ચાલકો મહિલા મુસાફરો સાથે અભદ્ર વર્તન કરી ભાડાના નામે લૂંટ ચલાવી રહ્યા છે. બીજી તરફ સ્વચ્છતા થતી ન હોવાના કારણે ગંદકીના ગંજ જામી ગયા છે.

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને સારી સુવિધા અને સગવડ મળી રહે તે માટે લકઝરીયસ બસપોટ બનાવવામાં આવ્યું છે. બસપોર્ટ સગવડતાના બદલે અગવડતા સમાન બની ગયું છે. તંત્રની લાપરવાહીના કારણે બસપોર્ટમાં રાત પડે અને લુખ્ખાઓનો રીતસર અડ્ડો જામે છે. બસપોટ પર પડયા પાથર્યા રહેતા રિક્ષા ચાલકો બસપોટની અંદર જઇને મહિલા મુસાફરોના બાવડા પકડી કયાં જવું છે તેવા વર્તન રોજીંદા બની ગયા છે.

આ સમગ્ર ઘટના દરરોજ સીસીટીવીમાં કેદ થાય છે. સિક્યુરીટી ગાર્ડ પણ નિસહાય અને લાચાર મુસાફરોને રિક્ષા ચાલકો દ્વારા કરાતી હેરાનગતિ સામે મુકપ્રેક્ષક બની તમાસો જોવે છે.જૂના બસ સ્ટેશનમાં મુસાફરોની સલામતિ માટે પોલીસ ચોકી બનાવવામાં આવી હતી પરંતુ બસપોર્ટમાં પોલીસ ચોકી ન હોવાના કારણે રિક્ષા ચાલકો અને આવારા તત્વોને મોકળુ મેદાન મળી ગયું હોય છે. આવારા તત્વોની દાદાગીરી સામે સિક્યુરીટી ગાર્ડ કંઇ બોલી શકતા ન હોવાના કારણે મુસાફરોની અને તેના કિંમતી માલ સામાન માટે પોલીસની સતત હાજરી જરૂરી બની છે. ત્યારે રાતે પેટ્રોલિંગમાં આવતી પોલીસની પીસીઆર મુશ્કેલીમાં વધારો કરી રહી છે.

બંધ કરાયેલી એસટી પોલીસ ચોકી ફરી શરૂ કરવી જરૂરી: પેટ્રોલિંગમાં આવતી પીસીઆર પ્લેટફોમ પર પાર્ક કરી પોલીસ સ્ટાફ ચા પી થાય છે રવાના

પ્લેટ ફોમ પર પીસીઆર પાર્ક કરી પોલીસ સ્ટાફ ચા-પાણી અને નાસ્તો મફતમાં કરી જતા રહેતા હોવાથી બસપોર્ટ ધણીધોળી વિનાનું બની ગયું છે. ગુંડાતત્વો મોકળા મેદાન સમાન બસપોર્ટમાં વાંધાજનક ચિજવસ્તુની હેરાફેરી અને ગંભીર પ્રકારનો ગુનો ન બને તે માટે પોલીસની સતત હાજરી જરૂરી બની છે.મુસાફરોની સલામતીની જેમ સ્વચ્છતા બાબતે તંત્ર ઉદાસીન છે. સમયસર સફાઇ થતી નથી તેમજ ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોના એજન્ટ દ્વારા બસપોર્ટમાંથી મુસાફરોને લઇ જઇ પોલીસ કમિશનરના જાહેરનામાનો સરા જાહેર ભંગ કરવામાં આવી રહ્યો છે.

લકઝરી બસપોર્ટમાં સ્વછતા અને સિક્યુરિટીનો અભાવ રાત્રી કર્ફ્યુનું જાહેરનામું બસપોર્ટ ખાતે લાગુ નથી પડતું ?

બસપોર્ટમાં રાત્રીના સમયે આરોગ્ય તંત્ર ઉંઘમાં કોરોના મહામારીના કારણે એરપોર્ટ,રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં તંત્ર દ્વારા કોરોના સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ બુથ ઉભા કરવામાં આવ્યા છે.પરંતુ રાત્રીના સમયે આરોગ્ય તંત્રનો સ્ટાફ જાણે ઊંઘમાં હોઈ તેવા દ્રસ્યો સામે આવ્યા છે.તો શું કોરોના પોઝિટિવ દર્દીઓ રાત્રીના સમયે બસપોર્ટમાં નહિ કરતા હોઈ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.