Abtak Media Google News

નવે નવ નોરતા દરમિયાન મંદિરે ધ્વજારોહણ, યજ્ઞ અને માતાજીને અવનવા શણગાર કરાશે

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન  નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાગવડ ગામથી   ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા હતા.

પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા ચાલુ વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. 26 સપ્ટેમ્બર ને સોમવારના રોજ સવારે 7 કલાકે  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન  નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ   નરેશભાઈ પટેલે કાગવડ ગામ સ્થિત  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાગવડ ગામે પ્રાથમિક શાળામાં   નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટી ઓએ દિપ પ્રાગટ્ય કર્યું હતું. પોતાના સંબોધનમાં  નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, 2011થી ખોડલધામની પરંપરા પ્રમાણે પ્રથમ નોરતે પદયાત્રા યોજાય છે. આદ્યશક્તિના આ પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે સૌને નવરાત્રિની શુભકામના. નવરાત્રિ આદ્યશક્તિનો પર્વ હોવાથી નારી શક્તિને પ્રોત્સાહિત કરીએ તો આ પર્વ સાર્થક બને. સંબોધન બાદ શ્રી નરેશભાઈ પટેલ દ્વારા રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કરવામાં આવી હતી. આરતી પૂર્ણ થતાં જ 7-30 કલાકે   નરેશભાઈ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા.

પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા.  મંદિરે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ  ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પદયાત્રામાં જોડાયેલા ભક્તો માટે   ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી સહિતની વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી.

નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો મા ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.