Abtak Media Google News

જામનગરમાં  અગ્નિવીર યોજના વિશે ઝીણવટભરી માહિતી આપતા કર્નલ જી.એસ.ચહલ 

ભારતીય સેનામાં અગ્નિવીર યોજના હેઠળ હાલ વર્ષ 2023-24 માટે ભરતી પ્રક્રિયા શરૂ છે. સાડા સત્તર વર્ષથી લઈ 21વર્ષ સુધીના યુવા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા હેઠળ  joinindianarmy.nic.in વેબસાઈટ પરથી આગામી તા.15 માર્ચ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

સૌરાષ્ટ્ર તથા જામનગરના વધુમાં વધુ યુવાઓ અગ્નિવિર યોજના હેઠળ ભારતીય સેનામાં જોડાય તે હેતુથી કર્નલ જી.એસ.ચહલ (સેના મેડલ) તથા અધિક કલેકટર શ્રી બી.એન.ખેર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં આ યોજના વિશે તેમજ યોજનામાં કરવામાં આવેલ ફેરફારો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતા કર્નલ ચહલે જણાવ્યું હતું કે આ ભરતી પ્રક્રિયા હેઠળ હવે સૌપ્રથમ ઓનલાઇન કોમન એન્ટ્રેંસ એક્ઝામ લેવામાં આવશે અને એ પરીક્ષાના માર્કના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરાશે. કુલ જગ્યાના 15 ગણા વધુ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે.

ત્યારબાદ ઉમેદવારોની શારિરીક યોગ્યતા કસોટી લેવાશે. ફિઝિકલ ટેસ્ટ તેમજ મેડિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ ઉમેદવારની આખરી પસંદગી કરવામાં આવશે. અગ્નિવિર યોજના હેઠળ પસંદગી પામેલ ઉમેદવારોને મેડિકલ, કેન્ટીન, એલાઉન્સ સહિતની સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં એક ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમની પહેલી માર્ચથી તાલીમ શરૂ થવા જઈ રહી છે ત્યારબાદ હાલ વર્ષ 2023-24 માટે આ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ છે. અગ્નિવિર યોજના હેઠળ જનરલ ડ્યુટી, ક્લાર્ક, ટેકનિકલ, ટ્રેડમેન તેમજ અગ્નિવિર વુમન મિલેટ્રી પોલીસ વગેરે પદો પર ભરતી કરવામાં આવશે.

હાલ જે ભરતી પ્રક્રિયા શરૂ છે તેમાં જામનગર, અમદાવાદ તથા વડોદરા કેન્દ્રો ખાતેથી ઉમેદવારો પરીક્ષા આપી શકશે.  ઉમેદવારોએ ભરતી પ્રક્રીયા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનુ રહે છે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં જો કોઈ મુશ્કેલી જણાય તો you-tubeપર How to Appear in Online Common Entrance Exam  સર્ચ કરી માર્ગદર્શન મેળવી શકાશે. તેમજ વધુ માહિતી માટે 7996157222 પર પણ સંપર્ક કરી શકશે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી કરવામાં આવે છે જેથી અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનો ધ્યાને ન લેવા પણ આ તકે કર્નલશ્રીએ અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.